૭૩મા સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના બુરજ પરથી રાષ્ટ્રજોગ પોતાના ઉદ્બોધનમાં એક વધુ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સંકેત આપ્યો છે. આ સર્જિકલ કયારે થશે એ તો ખબર નથી, પરંતુ એટલું નક્કી છે કે થશેે જરૂર.
કડક નિર્ણયો લેવા માટે જાણીતા પીએમ મોદીએ ર૯ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાકઇથી જે શરૂઆત કરી હતી તે કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવા સુધી આવી ગઇ છે અને હવે પીએમ મોદી આગામી સર્જિકલ સ્ટ્રાઇક વસ્તી વધારા પર કરવાના છે એ વાત નક્કી છે.
આમ પણ પીએમ મોદી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે અને તેથી હવે તેઓ દેશના વસ્તી વિસ્ફોટ અંગે કોઇ મોટો નિર્ણય લે તો આશ્ચર્ય બિલકુલ થશે નહીં. તેમણે મહત્ત્વની વાત એ કરી છે કે વસ્તી નિયંત્રણ કરવું એ પણ એક પ્રકારની દેશભક્તિ છે.
તેમણે વસ્તી નિયંત્રણને દેશભક્તિ સાથે જોડીને જણાવ્યું હતું કે નાનો પરિવાર રાખવો એ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. આ અંગે ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ સાચું જ કહ્યું છે કે પોપ્યુલેશન કંટ્રોલને લઇને મોદી સરકાર ટૂંક સમયમાં એક ખાસ કાયદો લાવશે.
દેશની વધતી જતી વસ્તીને લઇને પીએમ મોદીની આ ચિંતા તેના પરથી સ્પષ્ટપણે સમજાઇ શકે છે કે આ કેટલી વિરાટ અને વિકરાળ સમસ્યા છે. ૧.૩ અબજની વસ્તી સાથે ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
દેશની વસ્તી ૧૯પ૧માં ૩૬૧ મિલિયન હતી જે ર૦૧૧માં વધીને ૧.ર બિલિયન થઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્ર સંઘના અહેવાલ અનુસાર ર૦૧૦થી ર૦૧૯ વચ્ચે દુનિયામાં વસ્તી વધારો સરેરાશ ૧.૧ ટકા રહ્યો છે. જ્યારે ભારતમાં દર વર્ષે ૧.ર ટકાના દરે વસ્તી વધી રહી છે. ભારતમાં વસ્તી વધવાનો આંકડો ચીન કરતાં બમણાથી વધુ છે.
વસતી વધારો આપણી સૌથી વિકરાળ ને સૌથી જૂની સમસ્યા છે પણ અત્યાર લગી કોઈ વડા પ્રધાને લાલ કિલ્લા પરથી તેના વિશે વાત કરવાની હિંમત નહોતી કરી. મોદીએ એ હિંમત કરી છે એ સરાહનીય છે કેમ કે અત્યારે આપણને કનડી રહેલો સૌથી મોટો પ્રશ્ર્ન વસતી વધારો જ છે.
કમનસીબે આપણે ત્યાં કોઈ પણ વાતને ધર્મનો રંગ આપીને રાજકીય ફાયદો રળવાની ગંદી રમત શરૂ થઈ જાય છે. કોઈ ને કોઈ તો એવી વાત કરે જ કે જેના કારણે એક સારી વાતને રાજકીય રંગ ચડી જાય. આપણે ત્યાં લોકશાહી છે તેથી લોકો પર કેટલાં બાળકો પેદા કરવાં તેનાં નિયંત્રણો નાખવાં તેમાં સરકારને ખચકાટ થાય પણ સરકાર વસતી વધારાના મુદ્દાને સરકારી યોજનાઓના લાભ સાથે તો જોડી જ શકે.
જેમને બે કરતાં વધારે બાળકો હોય તેમને રાંધણ ગેસની સબસિડી ના મળે કે બીજી યોજનાઓના લાભ ના મળે એવાં પગલાં સરકાર લેવા માંડે તો પણ ચોક્કસ ફરક પડે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં બે કરતાં વધારે બાળક હોય તે ચૂંટણી લડવા ગેરલાયક ઠરે છે. વિધાનસભા ને લોકસભામાં પણ આ નિયમ લાગુ કરાય તો પણ ફરક પડી શકે તેમ છે.
આપણે ત્યાં મત બેન્કની રાજનીતિના કારણે કોઇ વસ્તી વધારાની વિકરાળ સમસ્યા અંગે બોલવા તૈયાર નથી. જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડંકાની ચોટ પર આ વાત કરી છે જેને સમગ્ર દેશવાસીઓએ ગંભીરતાથી લેવી જોઇએ.
એટલું જ નહીં સરકારે પણ પોતાની જે રાહત યોજનાઓ છે તેમાં વસ્તી વધારાના મુદ્દાને જોડવો જોઇએ અને જેમમને માત્ર એક જ સંતાન હોય એવા યુગલોને સરકારે મદદ કરવી જોઇએ. તેના કારણે એક અસરકારક મેસેજ લોકોમાં જશે. આ સહાયને કારણે ઘણા દંપતી બીજું સંતાન પેદા કરવાનું માંડી વાળશે અને સરવાળે દેશને જ ફાયદો થશે. દેશપ્રેમ વસ્તી વધારાને નાથીને પણ વધુ સારી રીતે અભિવ્યકત થઇ શકે.