ગીર જંગલની ગોદમા વસેલા આ માલધારીઓ માટે આ નેસડાઓ જ એમનો મહેલ છે અને તેના પશુઓ જ તેમનુ મહામુલુ ધન છે.
તૌકતે વાવાઝોડાથી જંગલના નેસડાઓમાં તબાહી
ગીરના જંગલનુ રખોપું કરતાં માલધારીઓની હાલત કફોડી
નેસડાઓ ધ્વસ્ત થતાં માલધારીઓની સરકારને સહાયની માંગ
વાવાઝોડાએ છિનવી લીધો માલધારીઓનો આશરો
અમરેલી જીલ્લાને વાવાઝોડા એ ઘમરોળ્યા બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાઓએ પ્રભાવિત શહેરો અને ગામડાઓ તરફ દોટ મૂકી છે. આવા સમયે ગીર જંગલમાં નેસડાઓમા વસતા માલધારીઓ કેવી પરિસ્થિતિમાં છે તે જાણવા માટે VTVNews ગુજરાતીની ટીમ રાજગરીયા નેસ પહોચી તો અમારી સામે જે દ્રશ્યો આવ્યા તે હૈયુ હચમચાવી મૂકે તેવા હતા.
જંગલની ગોદમાં વસેલાં માલધારીઓના નેસડાઓ થયાં બરબાદ
અમરેલી જીલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો. જંગલના ખોળે રમતા માલધારીઓનું વાવાઝોડાની કાળી રાત સર્વસ્વ લુટી ગઈ. માત્ર એકાદ મકાનને બાદ કરતા બાકીના તમામ નેસડાઓને ભારે નુકસાન થયું છે. કેટલાક નેસડાઓ તો સંપૂર્ણ પણે નષ્ટ થઈ ચુક્યા છે.
નેસડામાં વસતા માલધારીઓની સરકાર પાસે સહાયની માંગ
ગીર જંગલની ગોદમા વસેલા આ માલધારીઓ માટે આ નેસડાઓ જ એમનો મહેલ છે અને તેના પશુઓ જ તેમનુ મહામુલુ ધન છે. પરંતુ વાવાઝોડા રૂપી કુદરતની એવી તો થપાટ વાગી કે તેઓ જાણે કે નિરાધાર થઈ ગયા હોય તેવી અનુભૂતિ કરે છે. નેસડામાં જ આવેલા એક કુવામાથી પાણી ખેંચવા માટે પણ આ પ્રકારનો જુગાડ કરવો પડે છે. પોતાના ઘરમાં રહેલુ અનાજ અને પશુઓ માટે નો ચારો પણ ભારે વરસાદ મા પલડી જતા મુશ્કેલીઓ વધી છે.
સ્વાભિમાની માલધારીએ હાથ લંબાવવા પડ્યા
જંગલ મા વસ્તા માલધારીઓ ખુબ સ્વાભિમાનથી જીવન જીવતા હોય છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે તેઓ ફરી બેઠા થવા માટે સરકાર પાસે હાથ લાંબો કરી રહ્યા છે. આવા સંજોગોમાં સરકાર પણ ઉદારતા દાખવી આ માલધારીઓ ની વ્હારે આવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.
ગીર જંગલની ગોદમાં નેસડામાં વસતા પરિવારો મુશ્કેલીમાં
ગીર વિસ્તારમાં કુલ પંદરેક જેટલા નેસ આવેલા છે. કુદરતનાં ખોળે વસનારા આ માલધારીઓ ઝુંપડા જેવા કાચા મકાનો બાંધી આ નેસમાં રહે છે. વાવાઝોડામાં આ નેસ તહસ નહસ થઈ ગયા.નળિયાં ઉડી ગયા,છાપરા તૂટી ગયા. કાચી દીવાલો ઢળી ગઈ. જોકે વન વિભાગની સતર્કતા અને અગમચેતીને કારણે માલધારીઓનું સ્થળાંતર થયું,માલઢોર ને પણ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા જેથી જાન માલનું નુકશાન ટળ્યું. પરંતુ ચારો પૂરો પલળી ગયો.