વડોદરામાં સંજયનગરના રહેવાસીઓ ફરીથી ઝૂંપડા બાંધીને આવ્યા રહેવા, 5 વર્ષ થવા છતાં ન બન્યા મકાન કે ન મળ્યુ ભાડુ
વડોદરામાં સંજયનગરના રહેવાસીઓ દ્વારા વિરોધ
વડોદરામાં PM આવાસ યોજનાના મકાનો 5 વર્ષ પછી પણ ન બન્યા
15 મહિનાનું ભાડું આજે પણ નથી આપ્યું બિલ્ડરે
એક તરફ લોકોને ઘરના ઘરનું આપવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ તંત્રની ઢીલાશ ગણો કે પછી અધિકારીઓના પાપે તે સપનુ વર્ષો પછી પણ સપનું જ બની રહે છે. વડોદરાના સંજયનગરમાં પણ પાંચ વર્ષ પહેલા ત્યાં રહેતા રહીશોને મકાનો ફાળવવાનું વચન આપીને જગ્યા ખાલી કરાવી દીધી પરંતુ આજ દિન સુધી મકાન બન્યા નથી કે નથી તેઓને ભાડુ આપવામાં આવ્યું.
15મહિનાથી ભાડુ ન ચૂકવાતા ગરીબ પરિવારોની ખૂટી ધીરજ
વડોદરામાં સંજયનગરમાં પીએમ આવાસ યોજનાના મકાનો બનાવવા માટે ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. આશરે 1841 પરિવારોના ઝૂંપડા તોડી પાડ્યા. આ વાતને પણ 5 વર્ષ થયા પરંતુ હજુ સુધી કોઇ આવાસના મકાનો બન્યા નથી. વળી ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને અન્ય સ્થળે રહેવા માટે ભાડુ આપીશું તેવી વાત કરવામાં આવી હતી પરંતુ 15 મહિનાનું ભાડુ હજી આજે પણ ચૂકવવામાં આવ્યુ નથી. પરિણામે કંટાળીને આ પરિવારો ફરીથી સંજયનગરમાં રહેવા આવી રહ્યા છે.
6મહિનામાં મેયરે ભાડુ ચૂકવવાની કરી હતી જાહેરાત
અહીંના સ્થાનિકો સાથે વીટીવી ન્યૂઝ દ્વારા વાત કરતા જણાવ્યું કે મેયુર કેયુર રોકડિયા દ્વારા લાભાર્થીઓને 6 મહિનામાં ભાડુ આપવાની જાહેરાત કરી હતી પરંતુ આજ દિન સુધી ભાડુ ચૂકવવામાં આવ્યું નથી. જ્યારે અહીંથી ખાલી કરીને ગયા ત્યારે જેવી સ્થિતિ હતી તેનાથી પણ હાલ ખરાબ સ્થિતિ સંજયનગરમાં જોવા મળી રહી છે.
RMC પ્લાન્ટ બનાવીને ગેરકાયદેસર રીતે મોકલાય છે માલ
વીટીવી ન્યૂઝ દ્વારા સ્થળ મુલાકાત કરતા જાણવા મળ્યુ હતું કે બિલ્ડરે કામ રાખ્યુ હતુ તે બિલ્ડર દ્વારા RMC પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ ગરીબોના મકાનો બનાવવાની કોઇ કામગીરી નથી કરવામાં આવી. આરએમસીમા બનાવેલો જે હોટમિક્સ છે તે અન્ય જગ્યાએ મોકલવામાં આવી રહ્યો છે. જેના માટે આરએમસી પ્લાન્ટ બનાવાયો છે તે માટેની કોઇ કામગીરી કરી નથી અને અહીંયાથી અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે માલ મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યુ હતું,