સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો અને ધાર્મિક પ્રસંગો પર પ્રતિંબધ છે. તેવામાં ગાંધીનગરના પલિયડમાં આ નિયમોને નેવે મૂકીને ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પલિયડમા ગોગા મહારાજના પાટોત્સવમા હાથ ઉપર અંબાડી અને તેમા મહારાજને બેસાડીને સરઘસ કાઢવાના ધાર્મિક કાર્યક્રમના પૂજારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.
પલિયડમાં પાટોત્સવમાં સામેલ એક પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
પાટોત્સવના વીડિયો વાઈરલ થયા બાદ ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું
ગાંધીનગરમાં તમામ મેળાવડા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ
ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડમાં યોજાયેલા પાટોત્સવ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી લોકો એકઠા થયા હતા. આ દરમિયાન આ ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલ પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મંજૂરી વિના જ યોજાયેલ આ પાટોત્સવ કાર્યક્રમમાં આવેલા લોકોમાંથી 21 લોકો જેટલા લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે માંથી એક વ્યક્તિ પૂજા કરાવનાર પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ બ્રાહ્મણ ગાંધીનગરના સેક્ટર 26માં રહે છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે પલિયડ ગામે હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન યજ્ઞ અને મહાપ્રસાદમાં હજારો લોકો જોડાયા હતા. અહીં કોઇપણ સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું કે કોઇએ માસ્ક પણ નહોતું પહેર્યું. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો એક જ ગામમા પાટોત્સવ માટે એકઠા થયા હતા. જ્યારબાદ 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અને તેમના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ગાંધીનગર કલેકટરે ગાંધીનગર જિલ્લા અને શહેરમાં શ્રવણ માસના તમામ ઉત્સવો બંધ કરવાની જાહેરાત કરી છે. કોરોના સંકટને લઇને ગાંધીનગર કલેક્ટરે આ નિર્ણય લીધો છે. ધાર્મિક જાહેર કાર્યક્રમ માટે જે પણ અરજીઓ આવી હતી તે તમામ અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.