ભારતને સંતોની ભૂમી કહેવામાં આવે છે. આ ધરતી પર ભગવાન રામનો જન્મ થયેલો છે. અહીં એકથી એક ચડિયાતા મંદિરો છે, અહીં એકથી એક ચમત્કારીત મંદિરો છે, આ ધરતી પર ઘણાં એવા મંદિરો છે, જેના રહસ્ય વિશે વૈજ્ઞીનિકો પણ જાણી નથી શક્યા. આજે અમે તમને જણાવશું એવા જ એક રહસ્યમય મંદિર વિશે.
ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર રજરપ્પા સ્થિત છિન્નમસ્તિકા મંદિર શક્તિપીઠ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં ભક્ત મસ્તક વગરના દેવી માતાની પૂજા કરે છે અને માન્યતા છે કે માતાજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
માન્યતા છે કે અસમ સ્થિત માતા કામાખ્યા મંદિર સૌથી મોટુ શક્તિપીઠ છે, જ્યારે દુનિયાનું બીજુ સૌથી મોટું શક્તિપીઠ રજરપ્પા સ્થિત માતા છિન્નમસ્તિકા મંદિર છે. રજરપ્પાના ભૈરવી નદી અને દામોદર નદીના સંગમ સ્થાન પર આવેલ આ છિન્નમસ્તિકા મંદિર આસ્થાની ધરોહર છે.
મંદિરના વરિષ્ઠ પુજારી અસીમ પંડાએ જણાવ્યું કે સામાન્ય રીતે અહીં આખુંય વર્ષ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે, પરંતુ શારદીય નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તોની સંખ્યા વધી જાય છે. મંદિરના ઉત્તરીય દિવાલ પાસેના એક શિલાખંડ પર માતા છિન્નમસ્તિકાનું દિવ્ય રૂપ અંકિત છે.
મંદિરમાં સ્થાપિત માતાજીની પ્રતિમાના જમણા હાથમાં તલવાર છે અને ડાબા હાથમાં તેમનું જ કપાયેલું મસ્તક છે. શિલાખંડ ઉપર માતાની ત્રણ આંખો અંકિત કરવામાં આવી છે. ડાબો પગ આગળ કરી તે કમળના ફૂલ ઉપર ઉભેલા છે. તેમનો પગ રતિ અને કામદેવ ઉપર છે.
મંદિરના નિર્માણ કાળ વિશે પુરાતત્વ નિષ્ણાતોમાં મતભેદ છે. કેટલાય વિશેષજ્ઞનું કહેવું છે કે આ મંદિરનું નિર્માણ 6000 વર્ષ પહેલા થયું હતું અને કેટલાક આ મંદિર મહાભારતના સમયનું હોવાનું જણાવી રહ્યા છે. છિન્નમસ્તિકા મંદિર ઉપરાંત, અહીં મહાકાળી મંદિર, સૂર્ય મંદિર, દસ મહાવિદ્યા મંદિર, બાબાધામ મંદિર, બજરંગબલી મંદિર, શંકર મંદિર અને વિરાટ રૂપ મંદિરના નામથી કુલ સાત મંદિર છે. પશ્ચિમ દિશાથી દામોદર તથા દક્ષિણ દિશાથી વહેતી ભૈરવી નદીનું દામોદરમાં ભળી જવું તે મંદિરની સુંદરતામાં વધારો કરે છે.