સાબરમતી નદીનો કિનારો ઘણી ઐતિહાસિક પળોનો સાક્ષી છે જેનું પાણી પીને મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારતમાંથી ભગાવી દીધાં તો નરેન્દ્ર મોદીએ તેનાં તટ પર વિકાસનાં વાવેતર કરી પ્રધાનમંત્રીની મંઝિલ સુધી પહોંચ્યાં પરંતુ આજે એ જ સાબરમતી નદી મરવાને આરે ઊભી છે તે તંત્ર પાસે બચાવવાની ભીખ માગી રહી તેવું લાગે છે. સાબરમતી નદીની આ વ્યથા VTVનાં રિયાલિટી ચેકમાં સામે આવી છે.
જે નદી કિનારે ગાંધીજીએ વસીને અંગ્રેજોને દેશ છોડવા મજબૂર કર્યા. જે નદીનાં તટ પર મોદીએ ઊભા રહીને અનેક સપના સેવ્યાં અને સાકાર પણ કર્યા. તે સાબરમતી નદીની આજે સરકારને કંઈ પડી નથી. જે નદી કિનારેથી ગુજરાતે દેશને રાષ્ટ્રપિતા અને પ્રધાનમંત્રી આપ્યાં. તે નદીની ગુજરાતની સરકારને કંઈ પડી નથી? ના પણ સાવ એવું નથી.
ગુજરાતનાં CMનાં કહેવા મુજબ નદી આપણી જીવાદોરી છે અને એ સરકાર પણ સારી રીતે જાણે જ છે. પણ શું આપનું તંત્ર જે રીતે નદીને શુદ્ધ કરવાના નાટક કરે છે તેનાથી નદી જીવશે કે મરશે. અહીં આપણે વાત કરીએ છીએ અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીની. VTVનાં રિયાલિટી ચેકમાં નદીમાં ગંદુ પાણી વહી રહ્યું છે. સાબરમતીમાં પ્રદુષિત પાણી છોડીને સાબરમતીને મહામેલી કરવામાં આવી રહી છે. અહીં એક જગ્યાએથી લાલ પાણી નીકળી રહ્યું છે અને બીજી બાજુએથી કાળુ પાણી નીકળી રહ્યું છે અને આ બધુ જ પાણી બેરોકટોક સાબરમતીમાં ઠલવાય રહ્યું છે.
શહેરનાં મેયર સાહિબા જરૂર તમે પ્રધાનમંત્રીનું આ સપનું સાકાર કરવા માગતા હશો પરંતુ શું આ રીતે સાબરમતીમાં સરેઆમ ગંદુ પાણી છોડીને? શું આ રીતે પ્રધાનમંત્રી મોદીનું સ્વચ્છતાનું સપનું સાકાર થશે કે પછી રોળાશે? તો ગાંધીજીને યાદ કરીને શહેરનાં કમિશનર વિજય નેહરા પણ સાબરમતીને ચોખ્ખી ચણાક કરવાના દાવા કરી રહ્યાં છે.
વિજય નેહરા હજુ દાવો કરીને રાત્રે આરામ કરી સવારે ઊઠે છે ત્યાં જ તેમને સાબરમતીમાં પ્રદૂષિત પાણીનાં સમાચાર મળે છે. VTVએ જ્યારે તંત્રને ધસમસતા ગંદા પાણીને સાબરમતીમાં વહેતું બતાવ્યું ત્યારે સાબરમતીને શુદ્ધ કરવાનાં સજ્જ થયેલું તંત્ર બેબાકળુ બની ગયું અને કઈ રીતે સાબરમતીની સ્વચ્છતા કરીશું તેને લઈને મુંઝવણમાં પડી ગયું.
દુષિત સાબરમતી નદીને જોઈને વિપક્ષ હરકતમાં આવ્યો સત્તાધીશો પર વાર કરવાનો મોકો શોધીને GPCB પર આકરા પ્રહાર કર્યા. AMC સત્તાપક્ષ અને અધિકારીઓને સાબરમતી શુદ્વિકરણ પાછળનો હેતુ પ્રસિદ્વી મેળવવાનો છે? પ્રદૂષિત પાણીથી થનાર નુકસાન માટે કોણ જવાબદાર? પ્રદૂષિત પાણી છોડનાર એકમો સામે કાર્યવાહી કેમ નહી? પ્રદૂષિત પાણી છોડનાર એકમોને સીલ કેમ નથી કરાતા? શું શાસકો જ નદીમાં પ્રદૂષિત પાણી છોડવાની છૂટ આપે છે?
5 જૂને વિશ્વ પર્યાવરણ દિન આવી રહ્યો છે ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી ખુદ સાબરમતીને સ્વચ્છતા કરવાનું અભિયાન શરૂ કરવાના છે. આ અભિયાનમાં 10 હજાર કરતાં પણ વધુ લોકો જોડાય તેવી શક્યતા છે. ત્યારે શું પ્રઘાનમંત્રી મોદીનાં ગંગા શુદ્ધિ પ્રોજેક્ટ માફક રૂપાણી પણ સાબરમતી શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાર પાડી શકશે. તે હવે આખરે જોવાનું રહ્યું.