રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે 23મીએ સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણી પંચે મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યનાં તમામ ૫૧,૭૦૯ મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી ૧૨૫ જેટલી સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે 23મીએ સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી મતદાન યોજાશે. ચૂંટણી પંચે મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યનાં તમામ ૫૧,૭૦૯ મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી ૧૨૫ જેટલી સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે.
લોકસભાની કુલ ૨૬ બેઠક માટે કુલ ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીની ચાર બેઠકો માટે ૪૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. લોકસભા બેઠકમાં સૌથી વધુ ઉમેદવારો ૩૧ સુરેન્દ્રનગર બેઠક અને સૌથી ઓછા ૬ ખેડા બેઠક પરથી લડી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યાંથી લડી રહ્યા છે તે ગાંધીનગર બેઠક પર ૧૭ ઉમેદવાર છે. રાજ્યમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો નોંધાયા છે. જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા ૨,૩૪,૨૮,૧૧૯ છે જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૨,૧૬,૯૬,૫૧૭ ટ્રાંસજેંડર ૯૯૦ મતદાર છે જ્યારે ૧,૧૦,૮૮,૫૫૫ યુવા મતદારો છે જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા છે.
સામાન્ય વર્ગની બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી સહિત ૨૦ બેઠકો છે. અનુસૂચિત જાતિની કચ્છ અને અમદાવાદ પૂર્વ બેઠક છે. જયારે અનુસૂચિત જનજાતિની દાહોદ, છોટા ઉદેપુર,બારડોલી અને વલસાડ એમ ચાર બેઠકો છે. ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદરની વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન યોજાશે. રાજ્યમાં કુલ ૫૧,૭૦૯ મતદાન મથકો પર મતદાન થશે. ૩ લાખ કર્મચારી ચૂંટણી ફરજ નિભાવે છે.
દિવ્યાંગ અને વિકલાંગ અને સિનિયર સિટીઝન મતદાતાઓ માટે રેમ્પ અને વ્હીલચેર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મતદાતાને મળેલી મતદાન અંગેની સ્લિપથી મતદાન થઈ શકશે નહીં. મતદાતાએ તેની સાથે ફોટો આઈડી જેમકે આધાર કાર્ડ, વોટર કાર્ડ કે પાન કાર્ડ સહિતનો કોઈ એક પુરાવો સાથે રાખવો પડશે. પ્રજ્ઞાચક્ષુ ઉમેદવાર માટે બ્રેઈલ લિપીની વ્યવસ્થા કરાઈ છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં બે મહિલા મતદાન મથકની વ્યવસ્થા કરાઈ છે. જેનો તમામ સ્ટાફ મહિલાઓ હશે એટલું જ નહીં. દરેક મતદાન મથકની બહાર હેલ્પ ડેસ્ક હશે. જ્યાં મતદાતા પોતાના વોટર આઈ ડી સહિત મતદાર યાદીમાં તેમના નામની ચકાસણીની મદદ મેળવી શકશે.
અમદાવાદ શહેર-જિલ્લાનાં કુલ પ૪,૯પ,૮પ૯ મતદારો નોંધાયા છે. ર૮,૭૦,૯૬૬ પુરુષ મતદારો અને ર૬,ર૪,૭૬૮ મહિલા મતદારો છે. આ માટે કુલ પ૬ર૭ મતદાન મથક ઊભાં કરાયાં છે. આજે કુલ ર૬,૦૦૦ ઇવીએમ મતદાન મથક પર પહોંચાડી દેવાશે. પ્રથમ વખત મતદાન મથક પર વેઇટિંગ રૂમ, મંડપ, પાણી અને ડોક્ટરોની ટીમની વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદમાં કુલ ૧૬,૩૭પ દિવ્યાંગ મતદારો હોઇ તેમના માટે વ્હિલચેરની વ્યવસ્થા કરાઇ છે. શહેર-જિલ્લામાં કુલ ર૧ દિવ્યાંગ સંચાલિત અને ૧૦પ મહિલા સંચાલિત મતદાન મથક બનાવાયાં છે. દરમિયાનમાં આવતી કાલથી જ રાજ્યભરમાં હિટવેવની આગાહી છે. આવતી કાલે ગરમીનો પારો ૪૪ ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા છે.
ભારે ગરમીનો પ્રકોપ હોઇ અર્બન હેલ્થ સેન્ટર, આઇસીયુ ઓન વ્હિલ અને ૧૦૮ની ટીમ તહેનાત રખાશે. દસક્રોઇમાં સૌથી વધુ ૪૦૯ અને દરિયાપુરમાં સૌથી ઓછાં ૧૮૮ મતદાન મથક છે. અમદાવાદ (પૂર્વ) બેઠક પર ર૬ અને પશ્ચિમ બેઠક પર ૧૩ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. અમદાવાદ પશ્ચિમમાં એક અને પૂર્વની બેઠકમાં ચાર મહિલા ઉમેદવાર મેદાનમાં છે. અમદાવાદ પશ્ચિમની અનામત બેઠક પરથી ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકી ફરીથી ચૂંટણીજંગમાં ઊતર્યા છે. કોંગ્રેસના રાજુ પરમાર તેમની સામે ચૂંટણીની સ્પર્ધામાં છે. અમદાવાદ (પૂર્વ)માંથી ભાજપે એચ.એસ. પટેલને ટિકિટ આપી છે. અમરાઇવાડીના ધારાસભ્ય એચ.એસ. પટેલની મુખ્ય સ્પર્ધા કોંગ્રેસના ઉમેદવાર ગીતાબહેન પટેલ સાથે થશે.
જ્યારે ગાંધીનગર બેઠક પર કુલ ૧૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જોકે મુખ્ય સ્પર્ધા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી બે વખત જીતેલા સી.જે. ચાવડા વચ્ચે થશે. ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ (પૂર્વ) અને ગાંધીનગર બેઠક પર ઉમેદવારોની કુલ સંખ્યા ૧પથી વધી જવાથી આ બંને બેઠક પર બે ઇવીએમ અર્થાત્ બેલેટ યુનિટ મૂકીને મતદાન હાથ ધરાશે. સાંજના ૬-૦૦ વાગ્યા સુધીમાં જે મતદારો મતદાન મથકની બહાર ઊભા હશે તેઓને મતદાન કરવા માટે ટોકન અપાશે. ટોકન સિવાયના મતદારો મતદાન કરી શકશે નહીં.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આવી પહોંચશે અને રાજભવનમાં રોકાશે. સવારે માતા હીરાબાના આશિષ લઇને રાણીપની નિશાન હાઇસ્કૂલમાં મતદાન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ ઝોનલ ઓફિસ, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી એસજી હાઇવે પરની ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણી ખાનપુર અને રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ શીલજ ગામ ખાતે મતદાન કરશે.
રાજ્યભરના મતદાન કેન્દ્ર પર પોલીસે લોખંડી સુરક્ષા ગોઠવી દીધી છે. મતદાનના દિવસે ટોળાંશાહી નહીં ચલાવવાનું ઓયજન પણ પોલીસે કર્યું છે. શહેરમાં કુલ ૧૦૮૮ મતદાન મથકમાં ૪૦૨૧ બૂથ છે. તમામ બૂથની બહાર સીસીટીવીથી રેકોર્ડિંગ કરવામાં આવશે ત્યારે સંવેદનશીલ મતદાન મથકો પર સીએપીએફ ના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસ, એસઆરપી, સીએપીએફ અને હોમગાર્ડના જવાનો તૈનાત થઇ જશે. પોલીસે કુલ ૯૦ પીસીઆર વાન ૧૫૦ કરતાં વધુ વાહનો તૈનાત કર્યાં છે. ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ જેવી કે ક્રાઇમ બ્રાંચે, એટીએસ પણ તેનાત કરી દીધી છે.