કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ પ્રદર્શન બાદ સરકાર એક્ટિવ
ભાજપના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ વલસાડ જશે
ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ પ્રદર્શન બાદ સરકાર એક્ટિવ થઇ છે. આ મામલે ભાજપના આદિવાસી નેતાઓ વલસાડ જશે. ભાજપના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ વલસાડ જશે. આ યોજનાને લઇને સરકારનો પક્ષ લોકો સમક્ષ રાખશે. જેમાં કનુ દેસાઇ, જીતુ ચૌધરી અને કે.સી. પટેલ હાજર રહેશે.
કોંગ્રેસની રિવર લિંકનો વિરોધ કરીને મત કબજે કરવા કવાયત
નોંધનીય છે કે, આગામી સમયની અંદર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવવા જઇ રહી છે ત્યારે એ પહેલાં આદિવાસી વોટ અંકે કરવા સરકાર દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. આદિવાસી વિસ્તારની સીટો માટે ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ રિવર લિંકનો વિરોધ કરીને મત કબજે કરવા કવાયત હાથ ધરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપ લોકોને ફાયદો સમજાવી આદિવાસી બેઠકો કબજે કરવાની કવાયત હાથ ધરી રહ્યું છે.
તાજેતરમાં ગાંધીનગરમાં વિવિધ ખેડૂતો દ્વારા વીજળીની માંગને લઈને રેલી યોજાઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં જ 2 દિવસ અગાઉ ગાંધીનગરમાં વિવિધ ખેડૂતો દ્વારા વીજળીની માંગને લઈને રેલી યોજાઇ હતી. દરમિયાન પોલીસે રેલીને પેથાપુર પાસે અટકવાતા ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. છેલ્લાં ઘણા સમયથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો ખેતી માટે 8 કલાક વીજળીની માંગને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેતીની વિવિધ પડતર માંગણીઓને લઇને ખેડૂતો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ખેડૂતોની આ રેલીને ગાંધીનગરના પેથાપુર પાસે થોડા સમય માટે અટકાવતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ આંદોલનમાં પોલીસે રેલી અટકાવતાની સાથે ખેડૂતોએ ગાંધીનગર-પેથાપુર પાસેના રસ્તા પર ભારે ચક્કાજામ કરી દીધો હતો. બાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતો UGVCL કચેરી પહોંચી હતી અને ખેતીની વીજળી 8 કલાક જૂના સમય પ્રમાણે આપવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે ખેતી વિષયક વીજ મીટર હટાવી સમાન વીજદર કરવા, સરકારની ઘાતક નીતિઓથી ખેતીને નુકસાન થવાના આક્ષેપ પણ સરકાર પર કરવામાં આવ્યાં હતાં.