વડોદરા: AIIMS માટે હવે ભાજપમાં જ બે અલગ અલગ ભાગ પડી ગયા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નેતાઓએ AIIMS મામલે સરકારમાં રજૂઆત કરી છે. તો વડોદરા સહિત મધ્ય ગુજરાતના ધારાસભ્યોએ પણ વડોદરામાં AIIMS બને તેવી રજૂઆત કરી છે.
ત્યારે આ મામલે વડોદરાના ધારાસભ્યોએ પ્રાંતવાદનો આક્ષેપ કર્યો છે. જેમાં સરકાર અને પક્ષમાં સૌરાષ્ટ્ર લોબીના દબદબાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એવો પણ આક્ષેપ કર્યો છે કે AIIMSને સૌરાષ્ટ્રમાં બનાવવા માટે સૌરાષ્ટ્રની લોબી દબાણ કરી રહી છે. જોકે આ સમગ્ર મામલે જ્યારે મીડિયાએ ધારાસભ્યોને પૂછ્યું ત્યારે તમામ ધારાસભ્યોએ મૌન સેવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણા સમયથી AIIMSની માંગણી હતી જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને અદ્યતન સારવાર હવે ઘર આંગણે મળી રહેશે.
1250 કરોડના ખર્ચે બનવાની છે હોસ્પિટલ
રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 1250 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલ બનશે. AIIMSનું કામ 4 વર્ષમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
ઓક્ટોબરથી કામકાજ થશે શરૂ
એઇમ્સ માટેનું કામકાજ આગામી ઓક્ટોબર મહિનાથી શરૂ થઇ જશે. ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઇમ્સ તૈયાર થશે. જેનો લાભ 12 જિલ્લાના દર્દીઓને મળશે. એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહ્યાં છે.