ભારતીય રાજનીતિનાં સમીકરણો સમજવામાં સારા-સારા ખેરખાંઓ પણ માર ખાઈ જાય છે. જનતાનો મિજાજ પારખ્યા વગર ચૂંટણીના મેદાનમાં ઊતરતા પક્ષો અને તેમના નેતાઓને આંચકાજનક પરિણામો તથા જનતાના જાકારા માટે પણ તૈયાર રહેવું પડે છે.
ગઠબંધન ભારતીય લોકશાહીનું આવું જ એક હથિયાર છે, જેને યોગ્ય અને અસરકારક રીતે વાપરતાં ન આવડે તો તે ગમે ત્યારે બૂમરેંગ થઈને જીતનાં સપનાં પર બુલડોઝર ફેરવી દે છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) વચ્ચે થયેલું ગઠબંધન તમામ રાજકીય પક્ષો માટે અનેક પાઠ ભણાવનારું અને આંખો ખોલનારું સાબિત થયું છે.
આમ તો આ વાતનો ડર હતો જ અને આ ગઠબંધન લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ કેટલા દિવસ ટકે છે તેના પર જ સમગ્ર દેશની નજર હતી. આખરે જે વાતનો ડર હતો એ જ થયું અને કારમા પરાજય બાદ ઘોર નિરાશામાં અટવાઈ જઈને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એકબીજા પર બેફામ આક્ષેપો કરીને શબ્દોનાં એવાં તીખાં તીર ચલાવ્યાં કે ગઠબંધન અને રાજકીય પક્ષોની દોસ્તી સામે અનેક સવાલ ઊઠવા લાગ્યા છે.
ખુદ માયાવતીએ જ ગઠબંધન તોડવાની જાહેરાત કરી અને બસપાના ઉમેદવારોની હાર માટે પણ મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ પર દોષારોપણ કર્યું. અખિલેશે પ્રમાણમાં
ઘણો સંયમ જાળવ્યો અને માયાવતીના હીનકક્ષાના આક્ષેપોનો જવાબ આપવાના બદલે મૌન સેવવાનું પસંદ કર્યું.
અખિલેશનું આ મૌન તેમની શાલીનતા છે કે પછી વિશ્વાસઘાત થયાનો આઘાત તે વાત હજુ સ્પષ્ટ થઈ શકી નથી. ફક્ત છ મહિનાની અંદર જ આ ગઠબંધનમાં પડેલી તિરાડથી ભારતીય રાજકારણમાં ગઠબંધનની રાજનીતિ સફળ છે કે નહીં એ સવાલ પણ ઊઠવા લાગ્યો છે.
વાત ફક્ત ઉત્તરપ્રદેશની નથી. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા જેવાં ઘણાં રાજ્યમાં ગઠબંધનની રાજનીતિ તેની અસર ગુમાવી રહી છે. સૌથી પહેલાં વાત યુપીની કરીએ તો માયાવતીએ એક જાળ બિછાવી હતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ તેમાં ખુલ્લી આંખે સપનાં જોતાં જોતાં આબાદ ફસાઈ પણ ગયા.
માયાવતીએ અખિલેશ આગળ ઉત્તરપ્રદેશની રાજગાદી ધરી દીધી અને તેમને મુખ્યપ્રધાનપદનો મોહ દેખાડ્યો. સૌથી પહેલું તીર પેટાચૂંટણીમાં છોડવામાં આવ્યું અને તે સટીક નિશાન ઉપર જ લાગ્યું. વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક હારનો સામનો કર્યા પછી અને તેનાં ત્રણ વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ૧૯ બેઠકો પર સમેટાયા બાદ માયાવતી ખૂબ પરેશાન હતાં.
બસપામાં રીતસર ભાગદોડ મચી ગઈ હતી અને વર્ષોના વફાદાર સાથીઓ પક્ષ છોડીને જઈ રહ્યા હતા. પેટાચૂંટણીમાં સપાનું સમર્થન કરીને માયાવતીએ એક કાંકરે બે પક્ષી માર્યાં. એક તો પક્ષમાં મચેલી ભાગદોડ રોકાઈ ગઈ અને અખિલેશનો વિશ્વાસ પણ જીતી લીધો.
માયાવતીનો અસલી ટાર્ગેટ તો કેન્દ્રમાં સત્તાસ્થાને પહોંચવાનો હતો. તેમને ખબર હતી કે ર૦૦૭માં જે બ્રાહ્મણ મતદારોનો સાથ તેમને મળ્યો હતો એ હવે મળવો ખૂબ મુશ્કેલ છે. તેમને એક મોટી વોટબેન્કની તલાશ હતી અને તે માયાવતીને મુસ્લિમોમાં દેખાઈ.
ત્રણ વખત ભાજપની મદદથી મુખ્યપ્રધાન બનેલાં અને ગુજરાતનાં કોમી રમખાણો બાદ પણ ભાજપ સાથે જોડાયેલાં રહ્યાં હોવાથી મુસ્લિમો માયાવતી પર ભરોસો મૂકવા તૈયાર નહોતા. લોકસભા ચૂંટણીમાં ભલે બસપાની બેઠકો શૂન્યથી દસ થઈ ગઈ હોય પણ માયાવતીની નજર તો ર૦રરની વિધાનસભા ચૂંટણી પર છે.
યુપી વિધાનસભા ચૂંટણીમાં સત્તાની દાવેદારી કરવા માટે સપા સાથેનું ગઠબંધન તોડવું ખૂબ જરૂરી હતું. સપા કોઈ પગલાં ભરે તે પહેલાં જ માયાવતીએ જોરદાર હુમલો કરી દીધો અને ભવિષ્યની યોજનાનો રસ્તો પણ સાફ કરી દીધો.
કોઈ પણ ગઠબંધનની સફળતાનો પાયો અને મુખ્ય શરત તેની જનાધારમાં સમરસતા હોય છે. પક્ષ ત્યારે જ તેમના વોટ ટ્રાન્સફર કરી શકે છે જ્યારે બંનેના જનાધારમાં પરસ્પર સૌહાર્દ હોય, નહીં તો મતદારો ગઠબંધનને જાકારો આપતાં વિચારતા પણ નથી.
પ્રાદેશિક પક્ષો, ખાસ કરીને ઉત્તર ભારતના પ્રાદેશિક પક્ષો સામે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ નવું સંકટ ઊભું કરી દીધું છે. લગભગ તમામ પ્રાદેશિક પક્ષોની રાજનીતિ જાતિવાદ પર આધારિત છે. વંશવાદ પણ આ પક્ષો માટે મોટો પડકાર બન્યો છે અને તેની સામે મોદી-શાહની જોડીએ જાતિવાદ અને પરિવારવાદથી ઉપર ઊઠીને નવી રાજનીતિની વ્યૂહરચના અમલમાં મૂકી છે અને તે હુકમનો એક્કો સાબિત થઈ રહી છે.•