ગઠબંધન તૂટ્યા બાદ BTPના પ્રમુખ છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, PM મોદીનો જાદુ ટકાવી રાખવા માટે અરવિંદ કેજરીવાલને તૈયાર કરાયા છે. આદિવાસીઓની એકતાને તોડવાનું કામ કેજરીવાલ કરી રહ્યા છે.
AAP ગુજરાત મુદ્દે BTPના પ્રમુખ છોટુ વસાવાનું નિવેદન
દેશમાં ચૂંટણી આવતી રહેશે અને જતી રહેશેઃ વસાવા
આદિવાસીઓની એકતાને તોડવાનું કામ કરી રહ્યા છે કેજરીવાલ: વસાવા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે.
PM મોદીનો જાદુ ટકાવી રાખવા કેજરીવાલને તૈયાર કર્યા છેઃ વસાવા
છોટુ વસાવાએ જણાવ્યું કે, 'દેશમાં ચૂંટણીઓ આવતી રહેશે અને જતી રહેશે. હાલની પરિસ્થિતિ ભારતની એવી છે કે મોદીની જાદુ ખતમ થઈ રહ્યો છે, આ જાદુને ટકાવી રાખવા માટે એક બનાવટી માણસ કેજરીવાલ તરીકે પ્રોજેક્ટ કર્યો છે. ટ્રાયબલ એરીયામાં જે ટ્રાયબલ પાર્ટી બનાવી છે તેને તોડવાનું કામ ભાજપ-RSSએ આ માણસને સોંપ્યું છે. કારણ કે આ પાર્ટીથી તેમને ઘણો ડર લાગે છે. આદિવાસીઓની એકતાને તોડવાનું કામ કેજરીવાલ કરી રહ્યા છે, પરંતુ તેમાં તેઓ સફળ થવાના નથી.'
ભાગલા પાડી રાજકારણની નીતિ આદિવાસીઓ સાંખી નહીં લેઃ વસાવા
તેમણે જણાવ્યું કે, 'જે લોકો અંદર ગયા છે ધારાસભ્ય બનાવા માટે એ લોકો કંઈ કરી શકવાના નથી. આ ભારતનો ઈતિહાસ છે રિઝર્વેશન પર કેટલા આદિવાસીઓએ સાંસદ, ધારાસભ્ય, મંત્રી બનીને દુનિયા છોડી દીધી છે. પછી પણ આદિવાસીઓની સ્થિતિ એની એજ છે. આમાં પણ એવું જ થવાનું છે. આદિવાસી પોતે સત્તામાં ન આવે એટલા માટે આ પ્રલોભન આપીને ભાગલા પાડવાનું જે ષડયંત્ર છે તેને આદિવાસીઓ સાંખી લેશે નહીં. જે ગયા છે એ ચૂંટણી પૂરતા જ છે, તેમની 52 દિવસ જ ગણતરી થવાની છે. પછી આ લોકો નામ પણ યાદ નહીં રાખે.'
ટૂંક સમયમાં જ તૂટી ગયું AAP અને BTP વચ્ચેનું ગઠબંધન
આપને જણાવી દઈએ કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને BTPએ સાથે મળીને લડવાનું નક્કી કર્યું હતું. જોકે, બંને વચ્ચે થયેલું ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું. આ અંગે છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી. AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું છે.'
1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન
તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય છે.'