આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. તો અન્ય રાજકીય પક્ષો પણ એક્શન મૉડમાં આવ્યા છે.
ભાજપની બેઠકો બાદ કોંગ્રેસ એક્શન મોડમાં
આજે સાંજે કોંગ્રેસની અગત્યની બેઠક મળશે
બેઠકમાં ભાજપ અને AAP મુદ્દે ચર્ચા કરવામાં આવશે
અમદાવાદમાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યલયનું ઉદ્ધાટન કરીને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને રાજ્યની જનતા પરેશાન છે તેવી વાત હતી. તો આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી. AAPની આ રીતે ગુજરાતમાં એન્ટ્રીને પગલે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે.
ગાંધીનગરમાં કોંગ્રેસી આગેવાનોની બેઠક
રાજ્યમાં હવે 2022ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ચૂંટણી કવાયત શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં વિપક્ષના નેતાના ઘરે 2022ની ચૂંટણીને લઈને બેઠક કરવામાં આવશે જેમાં ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પૂર્વે સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા રણનીતિ ઘડવામાં આવશે તથા નવા સંગઠનને લઈને પણ મંથન કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ તાલુકા અને શહેર સ્તરે સંગઠનમાં મોટા ફેરફાર આવશે. સંગઠનમાં 3 વર્ષથી વધુ સમયથી રહેલા નેતાઓના પત્તા કપાશે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. 3 વર્ષથી વધુ સમય તાલુકા કે શહેર પ્રમુખ રહેલા નેતાઓને બદલી તેમને પ્રદેશ માળખામાં સ્થાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને પ્રદેશ કક્ષાએથી તાલુકા સ્તરના સક્ષમ કાર્યકરોના નામ પણ માંગવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ,વિપક્ષ નેતાની નિમણૂંક અટકી પડી છે. તેથી કોંગ્રેસનો કાર્યકર ભારે અસમંજસમાં છે.
ગુજરાત કોંગ્રેસમાં સામાજિક જૂથવાદના ભણકારા
ગુજરાત કોંગ્રેસમાં સામાજિક જૂથવાદ જોવા મળી રહ્યું છે. ઠાકોર નેતાઓ બાદ હવે આદિવાસી નેતાઓની બેઠક મળી. કોંગ્રેસના આધિવાસી સમાજના ધારાસભ્યોએ પણ બેઠક કરી અને નવા સંગઠનમાં આદિવાસી સમાજને યોગ્ય ન્યાય મળે તે અંગે ચર્ચા કરી. પ્રમુખ પદ અથવા વિપક્ષનેતા પદ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આદિવાસી સમાજના 6 ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા, આનંદ ચૌધરી, કાંતિ ખરાડી, ચંદ્રિકા બારિયા અને અનિલ જોશીયારા બેઠકમાં હાજર હતા.
ભાજપના કાર્યકર્તાઓ થઈ રહ્યા છે નિરાશ
સુરતમાં ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા વધી છે. અનેક કાર્યકર્તાઓ ભાજપ છોડી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી અગાઉ આ રીતે ભાજપ છોડીને કાર્યકર્તા જતા ભાજપની ચિંતા વધી છે. જેને લઇ કાર્યકર્તાઓના પક્ષ પલટા પાછળ કોણ તે અંગે તપાસ શરૂ કરાઇ છે. જો કે સતત અવગણનાથી કાર્યકરોમાં નારાજગી હોવાનો મત છે. ભાજપના ગઢ ગણાતા સુરતમાં જ ગાબડા પડવાની શરૂઆત થતા ભાજપની ચિંતા વધી છે.
અલ્પેશ ઠાકોર પણ થયાં સક્રિય
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા હવે નેતાઓ સક્રીય થઈ ગયા છે. અલ્પેશ ઠાકોર આજે અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે. જ્યાં તે ક્ષત્રિય-ઠાકોર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરશે. ચૂંટણી પહેલા ફરી જનાધાર ઉભો કરવા માટે નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. તેના ભાગરૂપે આ મુલાકાત છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોર શામળાજી મંદિરમાં પણ દર્શન કરશે.