બનાસકાંઠા બેઠક લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયુ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે બહુમતી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જેને લઈને ચૌધરી સમાજના બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારોમાં ચૌધરી સમાજના મત વહેંચાશે. જ્યારે અલ્પેશ ઠાકોરના સમર્થકે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આથી કોંગ્રેસ અને ભાજપ ચિંતામાં મુકાયા છે.
મળતી માહિતી મુજબ ઠાકોર સમાજ બનાસકાંઠા બેઠક પર મતદારોની સંખ્યામાં બીજા નંબરે છે. જેથી ઠાકોર સમાજના મતદારો પરિણામ પર નિર્ણાયક ભૂમિકામાં રહેશે. આથી બંને પક્ષોએ ઠાકોર સમાજને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મહત્વનું છે કે, બનાસકાંઠા બેઠક પર બે ધારાસભ્યો ક્ષત્રિય ઠાકોર સમાજના છે. જ્યારે ત્રણ ધારાસભ્યો ચૌધરી સમાજના છે. આમ, બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજનો દબદબો રહ્યો છે. પરંતુ એક સમયે બનાસકાંઠા બેઠક પર ગઢવી સમાજનો દબદબો હતો.
જો કે બનાસકાંઠા બેઠક પર રાજકીય મુદ્દાઓ કરતા જાતિવાદી મુદ્દાને વધુ મહત્વ આપવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજ અને ઈત્તર સમાજના અગ્રણીઓને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે. આમ, જાતિવાદી સમીકરણને કારણે ઇતર સમાજ બંને પક્ષોથી નારાજ થયો છે.