ર૦૧૯ની લોકસભાની ચૂંટણીનું પરિણામ અનેક રીતે ઐતિહાસિક છે. ભારતની ચૂ્ંટણીમાં પરંપરાગત અસર કરતાં ઘણાં પરિબળો અને માન્યતાઓ બદલાઇ ગઇ છે. અસ્મિતાનું રાજકારણ અથવા જેને આઇડેન્ટિટી પોલિટિક્સ કહે છે તે બેધારી તલવાર સમાન હોય છે. તેનાથી હવે વર્ષો સુધી સફળતા મળશે તેવા ભ્રમમાં રહેવું હવે કોઇ રાજકીય પક્ષને પરવડશે નહીં.
ફકત બિહાર અને ઉત્તરપ્રદેશનાં પરિણામોનું વિશ્લેષણ કરીએ તો આ રાજયોમાં પછાત અને અનુસુચિત જાતિની વોટબેન્ક પર મુલાયમસિંહ યાદવ, લાલુ યાદવ, કાંશીરામ અને માયાવતીએ વર્ષો સત્તા પર સીધી કે આડકતરી રીતે કબજો જમાવી રાખ્યો હતો.
૧૯૭૦ના દશકમાં ગેરકોંગ્રેસવાદ અને 'પિછડા પાએ સૌ મેં સાઠ નારા' સાથે રામમનોહર લોહિયાએ અસ્મિતાની રાજનીતિ શરૂ કરી હતી. તે પછી રાજનીતિમાં પછાત વર્ગનો દબદબો રાજકારણમાં વધતો ગયો. બિહારમાં કર્પૂરી ઠાકુર અને રામસુંદર દાસ જેવા નેતાઓના હાથમાં સત્તાનું સુકાન આવ્યું. ઉત્તરપ્રદેશમાં ચૌધરી ચરણસિંહ મુખ્યપ્રધાન બન્યા. જે પછાત વર્ગમાંથી આવતા હતા. જોકે શરૂઆતમાં તેઓ માત્ર જાટ નેતા ન હતા. તેમની સાથે યાદવ, કૂર્મી, ગુર્જર જેવી જાતિઓ પણ હતી.૧૯૯૦માં મંડલ કમિશનની રચના બાદ કહેવાતી સવર્ણ અને પછાત જાતિઓ વચ્ચેનો સંઘર્ષ વકર્યો.
અનામત વિરોધી આંદોલન હિંસક પણ બન્યું.તે પછી વિવિધ પછાત જાતિઓમાં નેતૃત્વ ઊભુ થતું ગયું. પછાત વર્ગ જાણે એક મજબૂત વોટ બેન્ક તરીકે ઊભર્યો. પછાત વર્ગમાં પણ સમૃદ્ધ અને આગળ પડતા ગણાતા યાદવોને મુલાયમસિંહ અને લાલુ યાદવ જેવા નેતાઓ મળ્યા. અડવાણીના નેતૃત્વમાં ભાજપે રામમંદિર આંદોલન શરૂ કર્યું તે પછી બંને નેતાઓએ તેમના રાજયોમાં મુસ્લિમ અને યાદવોનો મજબૂત જનાધાર ઊભો કર્યો.
જોકે આ બંને નેતાઓએ અનુસૂચિત જાતિ અને મહિલાઓને આગળ ન આવે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું. યાદવોને જ વધુ પડતું મહત્વ આપવાના કારણે અન્ય પછાત જાતિઓ તેમના હાથમાંથી છટકતી ગઇ. મહિલા અનામત બિલ સંસદમાં તેમના કારણે જ પસાર થઇ શકયું નહીં.
અખિલેશ યાદવ જયારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન હતા ત્યારે રાજય લોકસેવા આયોગના વડા તરીકે યાદવની નિમણૂક કરી. તેમણે બિનઅનામત માટેની જગ્યાઓ પર તો યાદવોની નિમણૂક કરી પણ જે પછાત વર્ગ માટે અનામત હતા તેવા પદો પર પણ યાદવોને જ પ્રાધાન્ય આપ્યું. તેથી જ તેમની સરકાર સામે જયારે અલાહાબાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા ત્યારે તેમાં બિનયાદવ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હતા.
આ ચૂંટણી વખતે તેમણે આહીરોના મત માટે સેનામાં આહીર રેજિમેન્ટ ઊભી કરવાની માગણી કરી હતી. જેનાથી અન્ય જાતિઓ નારાજ થઇ હતી. પછાત વર્ગમાં પણ સામાજિક અને આર્થિક રીતે પ્રમાણમાં અગ્રેસર કુર્મી જ્ઞાતિએ બિહારમાં નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશમાં સોનેલાલ પટેલ જેવા નેતાઓ આપ્યા. નીતિશકુમાર આજે પણ બિહારની રાજનીતિના કેન્દ્રમાં છે. ર૦૧૯ની ચૂંટણી એ રીતે પણ મહત્વની છે કે તેમાં જાતિવાદનું રાજકારણ ચાલ્યું નથી. કદાચ હવે લોકો વધુ જાણતા સમજતા થયા છે અથવા તો મોદીના કરિશ્મા સામે જાતિવાદ હાલ પાછળ ધકેલાઇ ગયો છે.
આ ચૂંટણીએ પોતાને પછાત વર્ગના મસીહા ગણાવતા અખિલેશ યાદવ, માયાવતી કે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે બોધપાઠ લેવાની જરૂર છે. હવે પછાત કે દલિતોના નામે માત્ર રાજકારણ નહીં ચાલે. આ વર્ગ પણ હવે જાતિવાદના રાજકારણમાંથી બહાર આવી રહ્યો છે. ભાજપ વિરોધી પાર્ટીઓએ હવે ખરેખર આ વર્ગ માટે ઠોસ કામ કરવું પડશે. ભાજપનો વિકાસ, રાષ્ટ્રવાદી હિંદુત્વ ઉપરાંત મોદીના નેતૃત્વનો મુદ્દો હાલ તો જાતિવાદના રાજકારણ પર ભારે પડયો છે.
આપણા દેશમાં જાતિવાદનાં મૂળ ખાસ્સા ઊંડાં છે. રાજકીય પક્ષ ગમે તે હોય ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં જાતિવાદી સમીકરણો ધ્યાનમાં રાખવા પડે છે. તેમ છતાં લોકો જાતિ-ધર્મના બદલે પક્ષ અને ઉમેદવારની યોગ્યતાને મત આપતા થાય તે આવકાર્ય છે.