લાંબા સમયથી રાજ્યમાં સૌનુ ધ્યાન ખેંચી રહેલી ગુજરાત વિધાનસભા ચુંટણીની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને રાજ્યમાં આચારસંહિતા અમલી બની છે.
વિધાનસભા ચુંટણીને લઇને રાજ્યમાં આચારસંહિતા અમલી
તંત્ર દ્વારા વિવિધ પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ
જાણો આચારસંહિતા નિયમો
આજે બપોરે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરુ થઇ ગયો છે. જેને લઇને હવે તમામ સરકારી કાર્યક્રમોનો અંત આવી જશે અને સરકારી તંત્ર પુરી રીતે ચૂંટણી ફરજ પર લાગી જશે.
શું હોય છે આચારસંહિતા નિયમો
ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ થતાંની સાથે જ મુખ્યમંત્રી કે, કોઈ મંત્રી સરકારી જાહેરાત કરી શકતા નથી. એટલે કે હવે સરકારી જાહેરાત પર ગુજરાતમાં રોક લગી જશે. વધુમાં ચુંટણી માટેની ઝુંબેશ પણ અટકશે.એટલુ જ નહિ કોઈ પણ પક્ષો તેના પ્રચાર માટે બેનર કે, પોસ્ટર મૂકી શકશે નહિ. આ નિયમનું ઉલ્લંઘન બદલ જેલ અથવા દંડ થઇ શકે છે.
આચારસંહિતાને પગલે તંત્ર હરકતમાં
ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, નવસારી સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવામાં કૉર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે.