અમદાવાદમાં વ્યાજખોરોના આતંકને ડામવા આજે શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે પોલીસનો મેગા લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરીનો ભોગ બનનારા અરજદારો મોટી સંખ્યામાં લોકદરબારમાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે લાલઆંખ કરી છે. વ્યાજના ચક્કરમાં ફસાઈ ચુકેલા મજબૂર અને જરુરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર અને ખાસ કરીને ગુજરાત પોલીસ વિભાગ કડક બન્યું છે. અત્યાર સુધીમાં જિલ્લા સ્તરે યોજાયેલા લોકદરબારમાં અનેક વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે શાહીબાગ હેડક્વાર્ટર ખાતે મેગા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ લોકદરબારમાં પહોંચ્યા હતા.
અત્યાર સુધી 54 લોકદરબાર યોજવામાં આવ્યા
અમદાવાદ પોલીસને મેગા લોકદરબાર યોજાયો હતો. તેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અમદાવાદમાં વ્યાજખોરીના 47 ગુના નોંધાયા છે. જેમાંથી 70 આરોપીઓ સામે ગુનો નોંધાયા છે. પોલીસને વ્યાજખોરીની 122 અરજીઓ મળી હતી. ત્યારે અત્યાર સુધી 54 લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં 3 હજાર 730 લોકો હાજર રહ્યા હતા. લોકદરબારમાં આવેલી ઘણી અરજીઓ ગુનામાં તબદીલ થઈ છે. વ્યાજખોરીની ફરિયાદ માટે 160 પેટીઓ મુકી હતી જેમાં 7 અરજીઓ આવી હતી. ત્યારે હવે કોર્પોરેશનની અધ્યક્ષતામાં નાના વેપારીઓને બેંકો લોન આપશે. તેમજ લોન માટે 9 જેટલી બેંકના 12 કર્મચારીઓ જોડાયેલા છે.
પોલીસ લોકોને ખાનગી બેંક પાસેથી અપાવશે લોન
સાથે અમદાવાદ પોલીસ 'MAY WE HELP YOU' નામથી નવી યોજના શરૂ કરશે. આ નવી યોજનામાં પોલીસ સ્ટ્રીટ વેન્ડરને પડતી મુશ્કેલીનું ધ્યાન રાખશે. પોલીસ અને કોર્પોરેશન મળીને લોકોને લોન અપાવશે. પોલીસ દ્વારા લોકોને ખાનગી બેંક પાસેથી લોન અપાવવામાં આવશે. આ કાર્યક્રમ 28થી 30 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે. આ અંગે માહિતી આપતા DCP ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે, શાહીબાગ હેડક્વાર્ટર ખાતે યોજાવા જઈ રહેલા લોકદરબારમાં બેંકોના અધિકારીઓ પણ હાજર રહેવાના છે. જેઓ સ્ટીટ વેન્ડરને લોન માટેની પ્રોસિજર સમજાવશે.