અમદાવાદથી ગુમ થયેલા વૃષ્ટિ અને શિવમ કેસમાં પોલીસને કડી મળી હોવાનો દાવો કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે બન્ને રેલ્વે સ્ટેશન પર સામાન સાથે સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે વૃષ્ટિના નજીકના લોકોએ કહ્યું હતું કે સીસીટીવીમાં દેખાતી યુવતી વૃષ્ટિ નથી. કેમ કે નજીકના લોકોનું કહેવું છે કે વૃષ્ટિએ હાલમાં જ હેર કટ કરાવ્યા છે. જેના કારણે આગળ રહેલા નાના હેર પોનીમાં કે ચોટલામાં લઇ શકાય નહી.
શિવમ ઘરેથી બિયર અને વાઇનનાં ટીન મળી આવ્યાં છે
બન્નેને શોધવા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ રાજસ્થાન અને એમપીમાં રવાના
રાજસ્થાન અને મધ્યપ્રદેશના અધિકારીઓને કરાઇ જાણ
સૂત્રોનાં જણાવ્યા અનુસાર શિવમ નશો કરતો હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસને શિવમના ઘરેથી દારુની બોટલો મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે પોલીસે આ મુદ્દે નરોવા કુંજરોવા જેવી પ્રતિક્રિયા આપી હતી.
વૃષ્ટિ અને શિવમ 1 ઓક્ટોબરનાં રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર સામાન સાથે સીસીટીવીમાં કેદ થયાં હતાં. જેમાં તેઓ પોતાની મરજીથી ક્યાંક ટ્રાવેલીંગ કરી રહ્યાં હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ નજરે પડી રહ્યું હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે. વૃષ્ટિનાં માતા પિતાને દીકરીનાં ગુમ થયાની જાણ થતાં તેઓ અમદાવાદ આવી ગયા હતા. પોલીસે માતા -પિતાનાં નિવેદન પણ લીધા હતાં. પોલીસને આ કેસમાં અનેક કળીઓ મળી છે. શિવમનાં ઘરેથી બિયર અને વાઇનના ટીન મળ્યાં છે. વૃષ્ટિનો પરિવાર એક જ બિલ્ડીંગમાં બે ફ્લેટ ધરાવે છે. જે પૈકી એક આઠમાં માળે છે અને બીજો 10માં માળે છે. વૃષ્ટિ મોટા ભાગે એકલા રહેવાનું પસંદ કરતી હતી.
સોહા અલીને નિવેદન માટે બોલાવાશે
વૃષ્ટિનાં ગુમ થવાને પગલે પોલીસે 2 ઓક્ટોબરે પીએમ બંદોબસ્તમાં હોવાથી તપાસમાં બહું ધ્યાન આપ્યું નહોતું. જો કે એ બાદ પોલીસે બન્નેની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સોહા અલી ખાને વૃષ્ટિનાં ગુમ થયાની ટ્વિટ કરી હોવાથી મીડિયા અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી. તેમજ પોલીસ સોહા અલી ખાનને પણ તપાસ માટે બોલાવાશે.
વૃષ્ટિના માતા શિવમને ઓળખતા હતા
પોલીસે વૃષ્ટિના માતા- પિતાનાં નિવેદન લીધા હતા. જેમાં વૃષ્ટિની માતાએ શિવમને ઓળખતા હોવાનું કબુલ્યું હતું. જ્યારે વૃષ્ટિના પિતાએ શિવમને નહી ઓળખતા હોવાનું પણ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાંનુંસાર વૃષ્ટિ અને શિવમ બાળપણનાં મિત્રો છે. જ્યારે વૃષ્ટિનાં માતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે વૃષ્ટિએ વિદેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. શિવમ અને વૃષ્ટિ બન્ને વિદેશમાં સ્કુલ મિત્રો બન્યા હતાં. વૃષ્ટિ ગાંધીનગરમાં આવેલી એક ઇન્સ્ટિટ્યુટમાંથી ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે.
શિવમે પરિવારને છેલ્લા મેસેજમાં એવું તો શું લખ્યું હતું
ગુમ થયાના બે દિવસ પહેલાથી વૃષ્ટિએ તેની મમ્મી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે વૃષ્ટિના સોતેલા પિતા હોઇ તે તેમની સાથે રહેવાનું ઓછું પસંદ કરતી હોવાનું મનાઇ રહ્યું છે. જ્યારે શિવમ નાનપણથી એકલો રહેતો હતો. શિવમે તેના પરિવારને છેલ્લો મેસેજ કર્યો હતો કે તમે છાંયડામાં જીવો છો અને હું તડકામાં જીવું છું. આ મેસેજ બાદ ગત મહિનાની 18 તારીખે શિવમે ફોન બંધ કરી દીધો હતો. જ્યારે વૃષ્ટિએ ગુમ કયાના બે દિવસ પહેલા ફોન બંધ કર્યો હતો.
બન્ને રાજ્યોના અધિકારીઓને જાણ કરાયી
પોલીસે રાજસ્થાન અને મઘ્યપ્રદેશમાં હોવાની શંકાને આધારે બન્ને રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે. બીજી તરફ પોલીસનું માનવું છે કે શિવમ વ્યસની છે. જોકે પોલીસને તેનાં દારુ કે અન્ય વસ્તુઓના ટીન અને નશાને લગતી સામગ્રી મળી હોવાનું મનાઇ રહ્યું છે. બન્ને પોતાની મરજીથી ગયા હોવાનું સૂત્રોમાં ચર્ચાઇ રહ્યું છે જોકે પોલીસ આ કેસમાં કોઇ ઢીલ મુકવા માંગતી નહોવાથી તેઓ આ કેસની ઝડપથી ઉકેલવા માંગે છે.