રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના ગેરકાયદે અડ્ડા પર પોલીસની તવાઈ, રેન્જ આઇજી સંદીપ સિંહના તાબા હેઠળ આવતા પાંચ જિલ્લાના પોલીસ વડાને પણ બાયોડીઝલ મામલે કર્યા કડક કાર્યવાહીના આદેશ
ભેળસેળ યુક્ત બાયોડીઝલના વેચાણ પર તવાઇ
35 જેટલા આરોપીઓની ધરપકડ
5 જિલ્લાઓમાં કરાઇ કાર્યવાહી
રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ગેરકાયદેસર ભેળસેળ યુક્ત બાયોડીઝલનું વહેચાણ થઈ રહ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટ સહિત ગેરકાયદે બાયો ડીઝલના ચાલતા હાટડીઓ પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ રેન્જ IG સંદીપ સિંહના તાબા હેઠળ આવતા 5 જિલ્લાના પોલીસ વડાને પણ બાયોડીઝલ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના મુજબ અત્યાર સુધીમાં 5 જીલ્લાઓમાં 1120થી વધુ જગ્યાએ રેઇડ કરવામાં આવી છે.
તો આ સાથે જ 1120માંથી 27 જગ્યાએ બાયોડીઝલના નામે વેચાતું ભેળસેળ યુક્ત પ્રવાહી ઝડપાઈ જતાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમજ 27 ગુના અંતર્ગત 35 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 5 જિલ્લાઓમાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
અગાઉ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો હતો નિર્ણય
રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક બંધ કરાવવાના CM રૂપાણીએ સ્પષ્ટ આદેશ કરી દીધા છે. સાથે કડક કાર્યવાહી પણ કરવાની વાત કરી છે. રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા હતા.
બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે
બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટ લેટ મારફતે થઇ શકશે નહીં-ઉપલબ્ધતાના આધારે ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડિંગ કરી વેચાણ કરી શકશે
શુદ્ધ બાયોડિઝલ ઉત્પાદન કરવા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરાશે
આવા ઉત્પાદકો GPCB સહિતની જરૂરી નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકશે
ભારત સરકારની બાયોડિઝલ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું એ સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરાઇ
બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકશાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.
રાજ્યમાં, હાલ બાયોડિઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડિઝલના છૂટક વેચાણને કે રીટેઇલ આઉટલેટ મારફતે બાયોડિઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી.
આ સંજોગોમાં બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટલેટ મારફતે કરી શકાશે નહિ, ફકત ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ઓઇલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે એવું સ્પષ્ટપણે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
બાયોડિઝલને હાઇસ્પીડ ડિઝલમાં નિયત માત્રામાં મિક્ષ / બ્લેન્ડીંગ કરીને ઉપયોગ કરવાની ભારત સરકારની નીતિ છે. આના પરિણામે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે તેમજ પેટ્રોલિયમ પેદાશો પર થતા વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થશે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો.
શુદ્ધ બાયોડિઝલનું ઉત્પાદન જેટ્રોફા, કરંજતેલ, બળેલા તેલ વગેરેમાંથી મિથાઇલ અથવા ઇથાઇલ એસ્ટરના મિશ્રણથી થતું હોય છે.
આવું શુદ્ધ બાયોડિઝલ બનાવતા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઊદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને હાઇસ્પીડ ડિઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે છે