આવતી કાલથી રાજ્યભરમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા તેમજ આજ રોજ વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાશે. ત્યારે પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર કે ઝેરોક્ષની દુકાનો પર પ્રતિબંધ મૂકાયો છે.
આવતીકાલથી રાજ્યમાં શરૂ થશે ધો. 10-12ની બોર્ડની પરીક્ષા
પરીક્ષા કેન્દ્રના 100 મીટરમાં 4થી વધુ લોકો નહીં થઇ શકે એકત્ર
આજે રાજ્યમાં વનરક્ષક વર્ગ-3ની પણ પરીક્ષા
બોર્ડ દ્વારા પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. તમને જણાવી દઇએ કે, આવતી કાલે રાજ્યમાં 15 લાખ જેટલાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષાના પેપર સ્ટ્રોંગ રૂમમાં પહોંચી ગયા છે. જ્યાં સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પેપરનાં સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આવતી કાલે આ સ્ટ્રોંગરૂમથી પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે.
તમને જણાવી દઇએ કે, આવતી કાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. કોરોના બાદ પ્રથમ વાર ધો.10-12નાં કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા સવારનાં 10થી બપોરનાં 1:15 વાગ્યા દરમિયાન યોજાશે તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે. જો કે, તમને જણાવી દઇએ કે, આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ નિયમો લાગુ કરાયા છે. જેનું કડક પાલન કરાવવામાં આવશે.
અમદાવાદ પોલીસનું જાહેરનામું : પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર ને ઝેરોક્ષની દુકાનો પર પ્રતિબંધ
આવતી કાલથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઇને અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. પરીક્ષા કેન્દ્રના 100 મીટરમાં 4થી વધુ લોકો એકત્ર નહીં થઇ શકે. તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર પર પોલીસની પાબંધી મૂકાઇ છે. શાળાઓએ જાહેરનામું અને બેઠક વ્યવસ્થાના બોર્ડ પણ લગાવી દીધા છે. તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન આ જાહેરનામું લાગુ પડશે. પરીક્ષા સ્થળ પર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 26, 2022
રાજ્યમાં આજે યોજાશે વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા
બીજી બાજુ તમને જણાવી દઇએ કે, આજ રોજ વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા પણ યોજાશે. વર્ષ 2018માં તેની ભરતી માટે ફોર્મ ભરાયા હતાં. ગુજરાત વનવિભાગમાં 334 જગ્યાઓ ખાલી છે. ત્યારે આજે બપોરનાં 12થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે.