ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે લાલઆંખ કરી છે. વ્યાજના ચક્કરમાં ફસાઈ ચુકેલા મજબૂર અને જરુરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર અને ખાસ કરીને ગુજરાત પોલીસ વિભાગ કડક બન્યું છે. અત્યાર સુધીમાં જિલ્લા સ્તરે યોજાયેલા લોકદરબારમાં અનેક વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે શાહીબાગ હેડક્વાર્ટર ખાતે મેગા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરીનો ભોગ બનનારા અરજદારોને DCP રૂબરૂ સાંભળશે. વ્યોજખોરો સામે પુરાવા હશે તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસ મથકની હદના અરજદારોને રૂબરૂ સાંભળશે
આ લોકદરબારમાં ભોગ બનેલ લોકો કોઈપણ જાતની ફરિયાદ નિર્ભય અને મુક્તપણ કરી શકશે. શાહીબાગ હેડક્વાર્ટર ખાતે શહેર પોલીસના સાતેય ઝોનના નાયબ પોલીસ કમિશનર અને તેમની ટીમ દ્વારા ફરિયાદ સાંભળવા માટે સાત અલગ-અલગ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોમ ઝોન વાઈઝ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જે તે પોલીસ સ્ટેશનની ટીમ હાજર રહેશે અને લોકોની ફરિયાદ સાંભળી કાર્યવાહી હાથ ધરશે.
પોલીસ લોકોને ખાનગી બેંક પાસેથી અપાવશે લોન
સાથે અમદાવાદ પોલીસ 'MAY WE HELP YOU' નામથી નવી યોજના શરૂ કરશે. આ નવી યોજનામાં પોલીસ સ્ટ્રીટ વેન્ડરને પડતી મુશ્કેલીનું ધ્યાન રાખશે. પોલીસ અને કોર્પોરેશન મળીને લોકોને લોન અપાવશે. પોલીસ દ્વારા લોકોને ખાનગી બેંક પાસેથી લોન અપાવવામાં આવશે. આ કાર્યક્રમ 28થી 30 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે. આ અંગે માહિતી આપતા DCP ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે, શાહીબાગ હેડક્વાર્ટર ખાતે યોજાવા જઈ રહેલા લોકદરબારમાં બેંકોના અધિકારીઓ પણ હાજર રહેવાના છે. જેઓ સ્ટીટ વેન્ડરને લોન માટેની પ્રોસિજર સમજાવશે.
MAY WE HELP YOU નામની યોજના થશે શરૂ
ત્યારબાદ અમે 28થી 30 તારીખ સુધી 'MAY WE HELP YOU' નામથી એક પ્રોગ્રામ લૉન્ચ કરી રહ્યા છે. AMC, બેંક અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ, ઝોન અધિકારીઓ, બેંકના કર્મચારીઓ જ્યાં સ્ટ્રીટ વેન્ડરના ધંધા-રોજગાર છે અથવા તેઓ જ્યાં રહે છે ત્યાં જઈને કેમ્પ કરીને તેમની લોનની વિગતો સમજાવશે. પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમો 28, 29 અને 30 કરવામાં આવશે. જેમાં ઉપરી અધિકારીઓ પણ હાજર રહીને માર્ગદર્શન આપશે.