રાજકોટમાં આજે બપોર બાદ એક વિચિત્ર ઘટના બની છે. જો કે આ અંગે સમગ્ર પોલીસ તંત્ર ખુદ અચંબામાં મુકાઈ ગયું છે. રાજકોટના મુખ્ય બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં PSI પી પી ચાવડા જ્યારે સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે એકાએક ગોળી છુટી અને ગોળી બસ સ્ટેશનમાંથી પસાર થનાર એક રાહદારીને લાગતાં તેમનું મોત થયું છે.
રાજકોટના એસ ટી બસ સ્ટેન્ડ પર એકાએક બનેલી ફાયરિંગની ઘટનાથી સમગ્ર રાજકોટનું એસ પી સહિતનું પોલીસ તંત્ર અને ક્રાઈમ બ્રાંચ ધંધે લાગી ગઈ છે. જો કે સમગ્ર ઘટના એવી હતી કે બસસ્ટેન્ડ પોલીસ ચોકીમાં ફરજ બજાવનાર PSI પી પી ચાવડાથી રિવોલ્વર સાફ કરતી વેળાએ ગોળી છૂટી કે તરત જ રાહદારી હિંમાશું દિનેશભાઈ ગોહેલ કે જે પોતાના એક મિત્રને કાલના ઓસ્ટ્રેલિયા-ભારતની મેચની ટિકિટ આપવા આવ્યો તેને લાગી અને ત્યારે જ તેનું મોત થયું.
ઘટના બાદ ખુદ PSI પી પી ચાવડા સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ અચંબિત થઈ ગયો હતો કે ઘટના બની કેવી રીતે. આ અંગે PSI ખુબ દુઃખી થયા પરંતુ ઘટના સ્થળે લોકોમાં તેમના પ્રત્યે ભારો ભાર રોષ હતો. ઘટનાની જાણ અન્ય ઉપરી અધિકારીઓને થતાં તાત્કાલિક તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ટોળાના રોષ સહિત સમગ્ર ઘટનાને કાબૂમાં લઈ લેવાયો હતો. પ્રાથિમક માહિતી મુજબ પોલીસ ખુદ PSI વિરુદ્ધ ફરિયાદ નોંધશે.