પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ શિવલિંગ સોમનાથ ખાતે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જો કે, પ્રથમ દિવસે જ ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, આ મામલે હવે મંદિરના મેનેજરે એક નિવેદન આપ્યું હતું.
સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો
સોમનાથ ટ્રસ્ટના મેનેજરનું નિવેદન
ગીર સોમનાથ જિલ્લા તંત્ર સાથે બેઠક કરશે
મંદિર ટ્રસ્ટના મેનેજરે ઘર્ષણની ઘટનાને લઇને જણાવ્યું હતું કે, આવનારા સમયમાં આ પ્રકારની કોઇ ઘટના ન બને તે માટે મંદિરના સેક્રટરી તથા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયગાળામાં મંદિરમાં ભક્તોના પ્રવેશ માટે પાસ સિસ્ટમ અથવા ઓનલાઇન દર્શન અંગે નિર્ણય લેવામાં આવશે.
શું બની હતી ઘટના
કોરોનાના વધતા કેસો છતાં પણ આજે સવારે સોમનાથ મંદિરમાં આરતીના સમયે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. ત્યારે મહાદેવના દર્શને આવેલ ભક્તોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નહીં હોવાથી પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભાવિકો તેમ છતાં નહીં માનતા મંદિર પરિસરમાં ફરજ બજાવી રહેલા પોલીસે ભાવિકો પર હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે ટ્રસ્ટના મેનેજરનું નિવેદન, ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને મંદિરમાં દર્શન માટે પાસ અંગે કરાશે ચર્ચા#Somnath#Policepic.twitter.com/LJEK0Q0fw8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2020
મંદિરમાં દર્શનના સમયને લઇને ટ્રસ્ટ દ્વારા કરાઇ છે ખાસ વ્યવસ્થા
સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને મંદિરના સમયમાં અમુક ફેરફાર કર્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શન માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ,રવિ,સોમ અને તહેવારના દિવસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભકતોને સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શનનો લાભ મળશે.
શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, સોમનાથ મંદિરમાં સામાન્ય દિવસોમાં દર્શનનો સમય સવારે 7:30 થી 11:30 સુધીનો અને બપોરે 12:30 થી 6:30 વગયા સુધીનો હોય છે.
તેમજ મંદિરમાં સવારે 7.00, બપોરે 12.00 અને સાંજે 7.00ની આરતી થાય છે પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે હાલ આરતીમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત મંદિરમાં પણ સામાજીક અંતરના પાલન સાથે અમુક માત્રામાં જ શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે. મંદિર દ્વારા બહાર માસ્ક માટે વિશેષ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.