કાલુપુર રેલવે સ્ટેશન પર ગુનેગારોને શબક શીખવાડવા માટે પોલીસ મેદાનમાં ઉતરી છે. હવે કોઇ પણ ગુનેગાર રેલવે સ્ટેશન પર એન્ટ્રી મારશે તો તેની જાણકારી સીધી પોલીસ અને આરપીએફને થઇ જશે.
અમદાવાદ રેલવે પોલીસનો પાઈલટ પ્રોજેક્ટ
ગુનાખોરીના કિસ્સા વધતાં પોલીસ એલર્ટ મોડ પર
CCTV કેમેરામાં તમામ ક્રિમિનલનો ડેટા રખાશે
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને ગુનાખોરીથી મુક્ત કરવા માટે પોલીસ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં ચોરી, સ્નેચિંગ, લૂંટ તેમજ તસ્કરીના કિસ્સા વધી રહ્યા છે. જેને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુનેગારો રેલવે સ્ટેશનને ગુનાખોરીનો અડ્ડો સમજી રહ્યા છે, ત્યારે તેમને શબક શીખવાડવા માટે પોલીસ મેદાનમાં ઊતરી છે. રેલવે સ્ટેશનમાં હવે કોઇ પણ ગુનેગાર એન્ટ્રી મારશે તો તેની જાણકારી સીધી પોલીસ અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ને થઇ જશે. રેલવે સ્ટેશન ફેસ રેકગ્નિશન કેમેરાથી સજ્જ છે. જેમાં ખાસ પ્રકારનું સોફ્ટવેર અપલોડ કરવાનું છે. જેના આધારે કોઇ પણ ક્રિમિનલ રેલવે સ્ટેશનમાં આવે તો સીધી જાણકારી પોલીસને થઇ જાય.
ગુનાખોરીને રોકવા માટે સીસીટીવીની મહત્વની ભૂમિકા
ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદના કાલુપુર ખાતે આવેલું છે જ્યાં રોજ બે લાખ કરતાં વધુ પેસેન્જરોની અવરજવર થાય છે. 19 ફેબ્રુઆરી 2006માં રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થયા બાદ તેને હાઇસિક્યોરિટી ઝોન ગણવામાં આવે છે. રેલવે સ્ટેશન પર આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) તેમજ ગુજરાત પોલીસ હોવા છતાંય હજુ પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લઇ રહી. ગુનાખોરીને રોકવા માટે સીસીટીવી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનને હાઇફ્રિક્વન્સી તેમજ ફેસ રેકગ્નિશન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનો કંટ્રોલ આરપીએફના હાથમાં છે પરંતુ હવે પોલીસ પણ સીસીટીવીમાં રસ દાખવી રહી છે. ફેસ રેકગ્નિશન કેમેરા હોવા છતાંય ક્રિમિનલની ઓળખ કરવામાં આરપીએફને મુશ્કેલીઓ ઊભી થાય છે. સંખ્યાબંધ ક્રિમિનલનો ડેટા ચેક કર્યા બાદ હકીકતની જાણ થાય છે.
ફેસ કેપ્ચર કરીને આરશે એલર્ટ
આ મામલે રેલવેના અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયને જણાવ્યું છે કે, રેલવે પોલીસ સીસીટીવી કેમેરામાં ખાસ પ્રકારનું સોફ્ટવેર અપલોડ કરવાની તૈયારી ચાલી રહી છે. સોફ્ટવેરમાં ક્રિમિનલનો ડેટા હશે એટલે જ્યારે પણ કોઇ પણ રેલવે પોલીસના ચોપડે નોંધાયેલો ગુનેગાર રેલવે સ્ટેશનમાં આવશે તો સીસીટીવી તેનો ફેસ કેપ્ચર કરીને કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં એલર્ટ આપી દેશે.
દારૂ તેમજ ડ્રગ્સની હેરફેર માટે પંકાયેલું છે રેલવે સ્ટેશન
એક સમયે કાલુપુર રેલવે સ્ટેશન ગુનેગારોને અડ્ડો કહેવામાં આવતું હતું, પરંતુ જેમ જેમ પોલીસ અને આરપીએફની ધોંસ વધી તેમ તેમ ગુનેગારો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જોકે હજુ પણ કેટલાક એવા ગુનેગારો છે જે ગુનાને અંજામ આપતાં એક મિનિટ પણ ખચકાતા નથી. કાલુપુર રેલવે સ્ટેશન દારૂ તેમજ ડ્રગ્સની હેરફેર માટે પંકાયેલું છે. અવારનવાર રેલવે સ્ટેશન પરથી ડ્રગ્સ તેમજ દેશી અને વિદેશી દારૂનો જથ્થો રેલવે પોલીસ જપ્ત કરે છે. દારૂ અને ડ્રગ્સની હેરફેર સિવાય રેલવે સ્ટેશન પર મારામારી, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા અનેક બનાવો બની રહ્યા છે. પેસેન્જરોના સ્વાંગમાં આવતી ચોર ટોળકી ટ્રેનમાં પેસેન્જરોના સરસામાનની ચોરી કરીને નાસી જાય છે, જ્યારે ચાલુ ટ્રેનમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પણ બને છે. સ્ટેશન જ્યારે ગુનાખોરીનું હબ બની રહ્યું છે. તેમને રોકવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાઇ છે.
પાંચ હજાર કરતાં વધુ આરોપીનો ડેટા રેલવે પોલીસ પાસે
પ્લેટફોર્મ નંબર 1 થી 10 સુધી તેમજ સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર કુલ 59 હાઇફ્રિવન્સીવાળા કેમેરા લગાવેલા હતા ત્યારે હવે તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. આરપીએફએ વધુ 50 સીસીટીવી કેમેરા રેલવે સ્ટેશન પર લગાવ્યા છે. જેમાં 12 ફેસ રેકગ્નિશન કેમેરા છે. આ કેમેરાની ખાસિયત એ છે કે પોલીસ ચોપડે નોંધાયેલો કોઇપણ ગુનોગાર જ્યારે રેલવે સ્ટેશન પર એન્ટ્રી મારે ત્યારે આરપીએફને તરત જ તેની જાણ થઇ જાય છે. ચોરી, લૂંટ, મારામારી સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા પાંચ હજાર કરતાં વધુ આરોપીનો ડેટા રેલવે પોલીસ પાસે છે. વર્ષોથી રેલવે પોલીસ સ્ટેશનમાં જે ગુના દાખલ થાય છે તેમાં ઝડપાયેલા આરોપીની તમામ વિગતો ફોટોગ્રાફ્સ સાથે ફેસ રેકગ્નિશન કેમેરાના સોફ્ટવેરમાં નાખવામાં આવશે. જેનાથી કોઇ પણ આરોપી જ્યારે આવે ત્યારે પોલીસ તેના પર વોચ રાખશે.
રેલવેમાં નોંધાયેલા ક્રિમિનલનો ડેટા પહેલાં અપલોડ થશે
કાલુપુર રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ સફળ થઇ ગયા બાદ સુરત, વડોદરા તેમજ રાજ્યનાં તમામ રેલવે સ્ટેશનમાં આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. અમદાવાદ વેસ્ટન રેલવે ડિવિઝનના ઇન્ચાર્જ એસપી રાજેશ પરમારે જણાવ્યું છે કે હાલ રેલવે સ્ટેશનમાં નોંધાયેલા ક્રિમિનલનો ડેટા અપલોડ કરવામાં આવશે અને બાદમાં બીજા ક્રિમિનલનો ડેટા પણ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.