શહેરનાં કેટલાંક પોલીસ સ્ટેશનની દશા જંકયાર્ડ જેવી બની ગઈ છે. છેલ્લાં કેટલાંય વર્ષથી જુદાં જુદાં ગુનામાં અને કબજે કરાયેલાં વાહન તંત્ર દ્વારાં જાળવણીનાં અભાવે ભંગારમાં ફેરવાઈ રહ્યાં છે. વાહનોનાં આડેધડ ખડકલાથી પોલીસ સ્ટેશનમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. આથી પોલીસ કર્મચારીઓ મેલેરિયા, ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા વકરવાની દહેશતમાં ફરજ બજાવી રહ્યાં છે.
પોલીસ મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા વાહનોનો નિકાલ કરવામાં નિષ્ફળ
પોલીસ સ્ટેશન પ્રથમ દ્રષ્ટિએ ભંગાર યાર્ડ લાગે છે
મુદ્દામાલમાં પકડાયેલાં વાહનનોનું પ્રમાણ વધતા પોલીસ રોડ પર વાહન પાર્ક કરે છે
શહેરનાં નારણપુરા, ઓઢવ, એલિસબ્રિજ, ચાંદખેડા, માધવપુરા પોલીસ સ્ટેશન, સાબરમતી પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સ્ટેશન અને તેની બહાર વાહનોનો ખડકલો થયો છે. પોલીસ સ્ટેશનની ચારે બાજુ બાઇક, ગાડી, રિક્ષા અને અન્ય વાહન જોવા મળે છે.
ઓઢવ હોય કે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હાલ બિસ્માર
ઓઢવનાં જૂનાં પોલીસ સ્ટેશનની બહાર પડેલાં મોટા ભાગનાં વાહનો કાટ ખાઈને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયાં છે. નારણપુરા પોલીસ સ્ટેશનનાં ગ્રાઉન્ડમાં પણ આવાં વાહનો મૂકવામાં આવ્યાં છે. જ્યારે કેટલાંક વાહનો પોલીસ લાઈનમાં મૂકવામાં આવ્યાં છે. જ્યારે કેટલાંક પોલીસ સ્ટેશનની પાછળ અથવા આગળનાં ભાગમાં મૂકવામાં આવેલાં વાહનો બિસ્માર હાલતમાં નજરે પડે છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે.
ઘણાં પોલીસ સ્ટેશનની બહાર વાહનનો ખડકલો
બીજી બાજુ શહેરમાં એવાં પણ કેટલાંક પોલીસ સ્ટેશન છે, જ્યાં પોલીસ સ્ટેશન બહાર સડી ગયેલાં વાહનોનાં કારણે ટ્રાફિક જામ સર્જાય છે. ગુનાઈત પ્રવૃત્તિમાં વપરાયેલું વાહન કે પછી બિનવારસી વાહનોને પોલીસ મુદ્દામાલ તરીકે પોતાની કસ્ટડિમાં રાખે છે. જેનો નિકાલ ઓછો અને ભરાવો વધારે થયો હોવાથી હવે તો પોલીસ તથા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવનારા લોકોને રોડ પર વાહન પાર્ક કરવાની ફરજ પડી રહી છે.
સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ પ્રયાસ કરાતો નથી
શહેરના નવરંગપુરા, આનંદનગર, ખાડિયા, ચાંદખેડા, સાબરમતી, ખોખરા જેવાં પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલાં વાહનો રોડ પર પાર્ક કરવામાં આવે છે. વાહન રોડ પર પાર્ક થતું હોવાથી ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આનંદનગર પોલીસ સ્ટેશન બહાર પણ રોડ પર ભંગારની હાલતમાં છે. પોલીસ દ્વારા પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ પ્રયાસ કરાતો નથી.
વાહનો પર ઘાસ ઉગી નિકળ્યાં છે
પોલીસ સ્ટેશન મુદ્દામાલનાં આડેધડ ખડકલા તેમજ પકડાયેલાં અને વર્ષોથી નિકાલ ન કરવામાં આવેલાં વાહનોમાં તો ઘાસ ઊગી નીકળ્યાં છે. જેના કારણે પોલીસ કર્મચારીઓ સતત બિમારીનો ભોગ બની રહ્યાં છે. આ ભંગારવાડાની સફાઈ અથવા નિકાલ થાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે. હાલમાં તો પોલીસ સ્ટેશનમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગંદકી દૂર કરવાની કામગીરી જરૂરી બની છે. સેક્ટર 1નાં જોઈન્ટ કમિશનર અમિત વિશ્વકર્માએ આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.