રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપવાસ છાવણી ખાતેથી પોલીસે અટકાયત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડેરને ફોન કર્યો હતો.
રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની અટકાયત
મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની પણ અટકાયત
સમર્થકોએ રોકી ટ્રેન
રાજુલામાં રેલવેના ફેન્સિંગના વિરોધમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસી ધારાસભ્ય અમરિશ ડેરની આજે સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તો ઉપવાસ છાવણીમાં કોંગી ધારાસભ્યની સાથે રહેલા અન્ય કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવતા સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો.
સમર્થકોએ રોકી ટ્રેન
રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર અને ઉપવાસ છાવણીમાં રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા અમરીશ ડેરના સમર્થકોએ પીપાવાવ પોર્ટ ખાતે ટ્રેન રોકી હતી. સમર્થકોએ સાવરકુંડલાના ઘાડલા ગામે ગુડ્સ ટ્રેન રોકી હતી અને વિરોધ નોંધાવ્યો હતો. અમરીશ ડેરની અટકાયત બાદ સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો.
અરવિંદ કેજરીવાલે ડેરને કર્યો હતો ફોન
ગુજરાતમાં સોમવારે અરવિંદ કેજરીવાલે AAPના પ્રદેશ કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત યોજ્યા બાદ દિલ્હી જઈને ગુજરાતના ધારાસભ્યને આપમાં જોડાવાનું આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું છે.
તો હું આમંત્રણ આપું છું : ગોપાલ
આ રાજકીય ઘટનાક્રમમાં AAPનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ ઝંપલાવ્યું છે. ગોપાલે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે ડેરને જોડાવવાનું આમંત્રણ ના આપ્યું હોય તો હું ગોપાલ ઇટાલિયા તમને AAPમાં જોડાવવા નિમંત્રણ પાઠવું છું. ગોપાલનાં આ નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું.
ધારાસભ્ય કેમ કરી રહ્યા છે ઉપવાસ?
અમરેલીમાં રાજૂલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર છેલ્લા 9 દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે. લોકો માટે સુંદર બગીચો બનાવાની જમીન જે રેલવે પાસે છે તેની માગને લઇ અમરિશ ડેર ઉપવાસ આંદોલન પર છે. ત્યારે હવે આ આંદોલનને જાફરાબાદ ભાજપના નગરસેવકોનું પણ સમર્થન મળ્યું છે. જેને લઇ હવે મામલો વધુ ગરમાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેરને જાફરાબાદ નગરપાલિકાના 7 સભ્યો મળવા પહોંચ્યા હતા. અને ભાજપના નગરસેવકોએ છાવણીની મુલાકાત લઇ વિકાસના મુદ્દે અમે સાથે છીએ તેમ કહી અમરીશ ડેરને સમર્થન જાહેર કર્યું હતું.