ગુજરાત સરકાર દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં હોવાના દાવા કરાઈ રહ્યાં છે. જ્યારે હવે તો માફિયા સામે ગુંડા એકટ અને ભૂમાફિયાને ડામવા માટે નવી જોગવાઈઓની વાતો ચાલી રહી છે ત્યાં સ્માર્ટ સિટી સુરતમાં કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી જેના શિરે છે તેવા જ પોલીસકર્મીઓનું ભૂમાફિયા, બુટલેગર અને અસામાજિક તત્વો સાથેની સાંઠગાંઠનું આખું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. આવામાં આ સરકારનો ગુંડા એક્ટ કેટલો કડક સાબિત થશે તે આગામી સમય જ કહેશે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જમીન માફિયાઓનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જો કે આટલું ઓછું હોય તેમાં સુરતમાં બેફામ બનેલા અસમાજિક તત્વો, બુટલેગરો અને ભૂમાફિયાઓનો આતંક પોલીસની રહેમનજરને આભારી છે. ડાયમંડ નગરીમાં સતત કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પાછળ ભૂમાફિયાઓની સાથે પોલીસ અને અમુક પત્રકારોની સાંઠગાંઠનો VTVGujarati.comના ઇન્વેસ્ટિગેશનમાં આખા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેના સમગ્ર તાર ક્યાં અને કેટલાં ઊંડે સુધી પહોંચે છે તે ખરેખર ડરામણું છે.
ગઈકાલે સુરતમાં દુર્લભભાઈ પટેલે કરેલી આત્મહત્યાની ઘટનાએ ફરીથી સુરતમાં આ ક્રિમિનલ નેકસસ તરફ સીધો ઈશારો કરી દીધો છે. આવામાં સમગ્ર સુરતમાં આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે તે એક ફિલ્મી કહાનીથી કમ નથી. આવો સમજીએ દુર્લભભાઈ પટેલના આપઘાતનો કેસ સમગ્ર માફિયા નેટવર્કથી કેવી રીતે જોડાયેલો છે.
ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં
સુરતમાં દારૂના વેપારની –જુગારની પ્રવૃત્તિની અને જમીનો પચાવી પાડવાના કરોડોના વેપારમાં કોણ કોની સાથે સંકળાયેલુ છે, તેની ભીતરની હકીકતોની દુનિયામાં ડોકિયુ કરવા જેવું છે. જેમાં ત્રણ નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યાં છે (1) રાજભા જાડેજા - પોલીસ ઓફિસર (IB) (2) વિજય શિંદે જે પોલીસમાં ફરજ બજાવે છે પરંતુ જમીન માફિયા તરીકે વધુ કુખ્યાત છે અને (3) મુકેશ કુલકર્ણી (પત્રકાર). નોંધનીય છે કે ગઈકાલે દુર્લભભાઈ પટેલના આપઘાત કેસમાં વિજય શિંદે, મુકેશ કુલકર્ણીના નામ પણ સામેલ છે.
સુરતમાં જે ગેંગ ચાલી રહી છે તેમાં માનવામાં આવે છે કે મુખ્ય સૂત્રધાર રાજભા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજભા સુરત IBમાં ફરજ બજાવે છે. જેના પગલે તેમને સતત માહિતી હોય છે કે સુરતમાં ક્યાં દારૂના વેપારીનું કોની સાથ સેટિંગ થયું છે. આ વહીવટદારોને પકડીને રાજભા તથા તેમના મિત્રો પોતાનો હપ્તો વસૂલી કરતા હોવાના આરોપો લાગી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ ગેંગ એટલી બધી પાવરફુલ થઇ ગઈ છે કે કે પોતાને ન ગમતા પોલીસ ઈન્સ્પેકટરોની બદલી પણ કરાવી શકે છે. સુરતમાં દુર્લભભાઈ પટેલની આતમહત્યાના કેસમાં પત્રકાર મુકેશ કુલકર્ણી અને જમીના માફિયા વિજય શિદેનીં સંડોવણી બહાર આવી છે. જેમાં કુલ 11 સામે ગુનો નોંધાયો છે જેમાં સુરતમાંથી બહાર ગયેલા IPSના વહીવટદાર, જમીન માફિયા , પત્રકારની સંડોવણી બહાર આવતા ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત એક પોલીસ ઈન્સ્પેકટર સામે પણ ગુનો દાખલ થયો છે.
જય-વીરૂની જોડી સુરત પોલીસની માનીતી
આ સિવાય પણ સુરતના બીજા બે વ્યક્તિનું નામ ચર્ચામાં આવી રહ્યું છે તે છે રીતેશ નારાયણ અને પંકજસિહ ચૌહાણ. રીતેશ નારાયણ સુરત ક્રાઈમમાં વહીવટદાર છે અને પંકજસિહ ચૌહાણ રેન્જમાં RR સેલમાં વહીવટદાર છે અને વર્ષોથી સુરતમાં ફરજ બજાવે છે. દારૂના વેપારીઓ સાથે સાંઠગાંઠ કરીને ટોચના પોલીસ અધિકારીઓ સુધી તેમનો હિસ્સો પહોંચાડી દેવાનું આખેઆખું નેટવર્ક ચલાવવાનો આ જોડી કરી રહી છે તેવી ચર્ચા છે. આ જ કારણ છે કે તે બંને પોલીસમાં ખૂબ માનીતા પણ છે.
કુલદીપ ગઢવી
સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કુલદીપ ગઢવીનો ભાઈ રાજદીપ ગઢવીનું નામ પણ સુરતભરમાં ચર્ચામાં ચાલી રહ્યું છે. તેની શહેરમાં એક ઓફીસ છે જ્યાં સુરતનાં મોટા મોટા IPS ઓફિસરો બેસવા આવે છે તે વાત કોઈથી છૂપી નથી. તાજેતરમાં જ રાજસ્થાનના વેપારી સાથે નાણાની માથાકૂટ અને તેની પત્ની સાથે દુર્વ્યવહારના આરોપ પણ તેના પર લાગ્યા હતા. આરોપ છે કે આ ઓફીસમાં જમીનોના સોદા અને માફિયાઓની બેઠક થાય છે જે બાદ માંગ ઉઠી છે કે કુલદિપ ગઢવીની બદલી થાય. જો કે નવનિયુક્ત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા કુલદીપ ગઢવીની DCBમાંથી ત્વરિત બદલી પણ કરી દેવાઈ છે.
ગીરીરાજ સિંહ જાડેજા
આ બધામાં જો વધુ એક પોલીસનું નામ સૌથી વધુ ચર્ચાતું હોય તો એ છે ગીરીરાજ સિંહ જાડેજા. આ પોલીસકર્મીના તાર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સાથે જોડાયેલા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગીરીરાજ વિરુદ્ધ જમીનની ફરિયાદોમાં લાખો રૂપિયાનો તોડ, દારૂની પ્રવૃત્તિ જેવા કાર્યોમાં વહીવટ કરતા હોવાનું મનાય છે. આટલું જ નહીં તેને સુરત રેન્જમાં R R સેલામાં મૂકાવવા પાછળ અનિરૂદ્ધસિહે ભલામણ કરી હતી તેવા પણ અહેવાલ છે.
પ્રકાસ માંજરો
સુરતમાં આ પોલીસકર્મીનું નામ કરોડપતિ પોલીસકર્મી તરીકે જાણીતું છે અને જમીનના વહીવટમાં તેમનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય બુટલેગરો સાથે પણ ખૂબ મોટું નેટવર્ક હોવાનું મનાય છે. નોંધનીય છે કે ACB દ્વારા તેની સામે 100 કરોડની બેનામી પ્રોપર્ટી એકત્ર કરવાનો કેસ કરવામાં આવ્યો છે.
સમીર જોશી
માનવામાં આવે છે સમીર જોશી ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળાની નજીકના ગણાય છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી હતી જે બાદ ઘણા આરોપો તેવા પણ લાગ્યા હતા કે સૂર્યા મરાઠી રાજકીય નેતાઓને નડી રહ્યો હતો.
મનોજ પાટીલ
સુરત રેલ્વેમાં એલસીબી પોલીસ સબ ઇન્સ્પેકટર મનોજ પાટીલનું નામ પણ સામે આવી રહ્યું છે. દારૂ –જુગાર –જમીનો કરોડોના તેમના વહીવટમાં આળોટી રહ્યો હોય તેવું મનાવામાં આવે છે અને સુરત પોલીસના વહીવટદારોના નેટવર્કમાં તે પણ સંકળાયેલા છે.
આ નામો પણ ચર્ચામાં
પ્રકાશ માંજરો,જયોર્જ, મહાદેવ પાટીલ, ચેતન શીમ્પી ASI, અનિરૂદ્ધ ગઢવી (PCB) જે ડી બ્રહ્મભટ્ટ (DYSP ) સુરત પોલીસના સૌથી મોટા વહીવટદારો તરીકે હોવાનું મનાય છે. ગુજરાત બહારથી દારૂના વેપારીઓ પાસેથી મોટી સાંઠગાંઠ અને ટોચના અધિકારીઓ સુધી પહોંચ હોવાના અહેવાલ છે. આમ સુરત પોલીસમાં વિવિધ વહીવટદારોનું રાજ ચાલી રહ્યું છે અને જનતાની સેવા સાઈડમાં મૂકીને પોલીસ આ બધા વહીવટમાં લાગેલી છે.