અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો કે જેમાં પોલીસ કોન્સ્ટેબલના પરિવારે દહેજ પેટે પંદર લાખની માગણી કરી હતી અને રૂપિયા ના આપવા હોય તો ગર્ભપાત કરાવી દેજે તેમ કહીને સગર્ભા પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે.
કૃષ્ણનગરમાં રહેતી એક પરિણીતાએ તેનાં સાસરિયાં વિરુદ્ધમાં માનસિક-શારીરિક ત્રાસ અને દહેજની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર વિસ્તારમાં આવેલ નવાપર ખાતે રહેતા ભાવેશ સોલંકી સાથે જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન વર્ષ ર૦૧૯માં થયાં હતાં. ભાવેશ સોલંકી નવસારી ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને હાલમાં પરિણીતા પ્રેગનેટ છે અને સાતમો મહિનો ચાલે છે.
લગ્નના બાદ થોડો સમય પિયરમાં રહ્યા બાદ પરિણીતા તેની સાસરીમાં ગઈ હતી. સાસરિયાં ઘરની નાની નાની બાબતે ઝઘડો કરવા લાગ્યાં હતાં અને પરિણીતાના પતિને ખોટી રીતે સાસુ ચઢામણી કરતાં હતાં અને કોઈ કારણ વગર તેમના પતિ ઝઘડો કરીને પિયર જતાં રહેવાની ધમકી આપતાં હતાં. ત્યારબાદ પતિ સાથે નવસારી ખાતે રહેવા ગઇ હતી. તે બાદ પરિણીતાનું સીમંત હોવાથી તેના પિતા અને સમાજના માણસોએ સાસરીમાં કહેવડાવ્યું હતું, પરંતુ પરિણીતાનાં સાસુએ સીમંતની ના પાડી દીધી હતી.
ત્યારબાદ પરિણીતા પિતા અને ભાઈ સાથે સમાજના બે માણસોને લઈ સાસરીમાં ગઈ હતી, જ્યાં પરિણીતાનાં સાસુએ પંદર લાખ રૂપિયા લઈને મારા ઘરમાં પગ મૂકજે અને રૂપિયા ના આપવા હોય તો ગર્ભપાત કરાવી દેજે તેમ કહીને ઝઘડો કરી પિરણીતાને ધક્કો મારી કાઢી મૂકી હતી, જેથી પિરણીતાએ કંટાળીને મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.