1 સપ્ટેમ્બર 2019થી ટ્રાફિકના નવા નિયમો જાહેર કરાયા છે. જેને લઈને હાલમાં ટ્રાફિક પોલીસ ખડેપગે કામ કરી રહી છે. ટ્રાફિકના નવા નિયમોને લઈને દંડના પણ અનેક કિસ્સા બની રહ્યા છે. નવા નિયમોને લઈને અમદાવાદમાં આરટીઓ અધિકારી અને એજન્ટો વચ્ચે મિલીભગત જોવા મળી રહી છે.
અમદાવાદ RTO દ્વારા એજન્ટો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુભાષબ્રિજ RTOએ એજન્ટોને પાઠ ભણાવવા કાર્યવાહી શરૂ કરી છે. જાહેરનામાના ભંગ બદલ એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે 18 એજન્ટની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં એજન્ટો સામે RTOએ કડક કાર્યવાહી કરી છે. RTOએ 50 જેટલા એજન્ટ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. RTOમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરવા મુદ્દે ફરિયાદ થઇ છે. લોકોને લાલચ આપી રૂપિયા પડાવતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. એજન્ટ પ્રથા નાબૂદ કરવા વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમો 1 સપ્ટેમ્બર 2019થી જાહેર કરાયા છે. ટ્રાફિક દંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં કેન્દ્રના ટ્રાફિક દંડ યથાવત્ રહેશે. તે દરેકને માટે સમાન રીતે લાગૂ પડશે. ટ્રાફિકના નિયમ ભંગ બદલ રાજ્યમાં ભારે દંડ લેવાશે. ગુજરાત સરકારે કેન્દ્રીય કાયદામાં કોઈ ફેરફાર ન કરે તેવી માહિતી આપી છે. સાથે જ જણાવ્યું છે કે માત્ર કોર્ટ કેસમાં જ સરકાર હસ્તક્ષેપ કરશે. કેન્દ્રના ટ્રાફિક ભંગના નિયમ થોડા સમયમાં રાજ્યમાં લાગૂ થાય તેવી શક્યતા છે.