એકતરફ કોરોના વાયરસના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યાં ઇક્વાડોરમાં પોલીસની તપાસમાં લોકોના ઘરમાંથી મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. જોકે બધાને કોરોનાનું સંક્રમણ ન હતું. ઇક્વાડોરમાં લોકોએ સોશિયલ મીડિયામાં લાશો રસ્તા પર પડી હોય તેવા વીડિયો પોસ્ટ કર્યા બાદ પોલીસે જણાવ્યું છે કે લોકોના ઘરમાંથી અને હોસ્પિટલમાંથી લાશ એકત્રિત કરવામાં આવી રહી છે.
કોરોનાને કારણે અંતિમક્રિયાના સ્થળો પર ભારે દબાણ
પોલીસે લોકોના ઘરમાંથી એકત્રિત કર્યા મૃતદેહો
મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં લોકો અસમર્થ
કોરોના વાયરસ સંક્રમણના સાડા સાત હજાર કેસ
ઇક્વાડોરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે આશરે સાડા સાત હજાર કેસ સામે આવ્યા છે. સાથે જ આધિકારિક આંકડાઓ અનુસાર 350 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે દેશમાં કોરોના વાયરસનાં કેન્દ્ર ગ્વાયાક્વિલમાં લોકોના ઘરની અંદરથી 800 જેટલી લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો.
ઇક્વાડોરમાં પોલીસે જ્યારે લોકોનાં ઘરની તલાશી કરી ત્યારે લગભગ 800 લાશ મળી આવી હતી. ઇક્વાડોર પોલીસે જણાવ્યું કે માર્યા ગયા લોકો કોરોના સંક્રમિત હતા કે નહીં તેના પર તપાસ કરવામાં આવશે. કોરોના વાયરસના હાહાકારના કારણે ગ્વાયાક્વિલમાં વિવિધ હોસ્પિટલ ઉભરાઈ રહી છે. આ સિવાય અંતિમ સંસ્કાર કરવા માટેનાં સ્થળો પર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
લોકો સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને વ્યથા ઠાલવી રહ્યા છે
આ શહેરમાં મૃત શરીરને દાટવા માટે પણ લોકો અસમર્થ નજરે પડી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને વ્યથા ઠાલવી રહ્યા છે. સમગ્ર દેશમાં હૃદય કંપી ઉઠે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે લોકો શબને દફનાવી પણ શકતા નથી.
કોરોના વાયરસ સામે લડી રહેલા જોર્જ વાટીડે કહ્યું કે લોકોનાં ઘરમાંથી અત્યાર સુધી 700થી વધારે મૃતદેહ એકત્ર કરવામાં આવ્યા છે. ઇક્વાડોર પોલીસે રવિવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે ત્રણ સપ્તાહમાં લોકોના ઘરોમાંથી 771 અને હોસ્પિટલમાંથી 631 શબ ઉઠાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બધા શબને કોરોના સંક્રમિત બતાવવામાં આવ્યા છે જેમાંથી 600 જેટલા મૃતદેહોની અંતિમવિધિ કરી દેવામા આવી છે.
કોરોનાની શું છે પરિસ્થિતિ
ઇક્વાડોરમાં કોરોના વાયરસના 7500 મામલા સામે આવ્યા છે. સરકાર અનુસાર ગ્વાયાક્વિલ કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. દેશમાં નોંધાયેલા કેસમાંથી 70 ટકા કેસ આ શહેરમાં જ નોંધાયા છે. ઇક્વાડોરમાં 29મી ફેબ્રુઆરીના રોજ પહેલો કેસ સામે આવ્યો હતો.