ગત જાન્યુઆરી 2021માં રૂા.70 લાખનો વીમો પકવવા માટે કુંભારીયાની પરિણીતાને ટ્રક નીચે મારી સમગ્ર હત્યાકાંડને અકસ્માતમાં ખપાવવાના ચકચારી કેસમાં પુણા પોલીસે યુપીના અલગીગઢમાં મુખ્ય કાવતરાખોર સસરા અને નણંદને પકડી પાડ્યાં હતાં
પુત્રવધુ મોર્નિંગ વોક માટે નીકળેલી ત્યારે ટ્રક અડફેટે થયું હતું મોત
પુણા પીઆઇ. વી.યુ. ગડરિયાએ જણાવ્યું હતું કે મૂળ યુપીના એટાનો અને હાલ પુણા કુંભારિયામાં રહેતા અનુજ સોહનસિંગ યાદવે 8 જાન્યુઆરી 2021ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે સવારે મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેની પત્નીને ટક્કર મારી તેનું મોત નિપજાવી ભાગી ગયો છે. તપાસથી ખબર પડી કે અનુજની પત્ની શાલીનીની હત્યા થઈ છે. તેથી આ કેસમાં પોલીસે અનુજ અને હત્યામાં મદદરૂપ થનાર નઈમ નામના આરોપીની ધરપકડ કરી હતી.
હત્યા કરનારા આરોપી પિતા-પુત્રી ઝડપાયા
તપાસમાં ખબર પડી કે શાલીનીના નામે લીધેલી ટ્રકની લોન ન ભરવી પડે તેમજ શાલિનીના નામે 70 લાખના વીમાની રકમ મેળવવા તેની હત્યા કરાઇ હતી. અનુજે નઈમની મદદથી શાલિનીને ટ્રકથી ઉડાવી તેની હત્યા કર્યા બાદ અકસ્માતમાં મોત થયાંની ખોટી હકિકત પોલીસને જણાવી હતી. તપાસમાં જણાયું કે શાલિની હત્યાનું કાવતરું પતિ અનુજ, સસરા સોહનસિંગ અને નણંદ નીરૂએ ઘડ્યું હતું. પુણા PSI જે.એચ. રાજપુત સાથે એક ટીમે બાતમીના આધારે અનુજના પિતા અને તેની બહેનને અલીગઢ જઇ ઝડપી પાડ્યા હતા.