ભરૂચમાં બે દિવસ અગાઉ હત્યા કરાયેલી લાશના ટુકડા મળી આવ્યા હતા. જે મામલે પોલીસે ગણતરીના સમયમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પૈકી 3 આરોપી બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે.
હત્યાને અંજામ આપીને કર્યા હતા લાશના ટુકડા
આરોપીઓ રીક્ષામાં લાશના ટુકડા લઈને ફર્યા
ગણતરીના સમયમાં આરોપીઓ પોલીસના સકંજામાં
ભરૂચ જીલ્લામાં ગત 6 તારીખના રોજ પોલીસને એક લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ આરંભીને હત્યાના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ મૃતકના શરીરના ટુકડા કરીને તે ટુકડાઓ અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિકની બેગમાં ફેક્યા હતા.
4 આરોપીઓ પૈકી 3 બાંગ્લાદેશના રહેવાસી
આરોપીઓની ધરપકડ બાદ સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપીઓ પૈકી 3 આરોપીઓ બાંગ્લાદેશના રહેવાસી છે. તેમજ જે મૃતક છે તે પણ બાંગ્લાદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક આરોપીઓને ધમકી આપતી હતો કે તે પોલીસને જાણ કરી દેશે કે તેઓ બાંગ્લાદેશી છે. ધમકી આપીને મૃતક તેમની પાસેથી મોટી રકમ પડવાતો હોવાનું સામે આવ્યું છે. જેની અદાવત રાખીને આરોપીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો.
રિક્ષામાં લાશના ટુકડાઓ લઈને ફર્યા
મૃતક યુવકનું નામ અકબર હોવાનું સામે આવ્યું છે, કુલ ચાર આરોપીઓની પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે. જેમા 3 આરોપીઓ બાંગ્લાદેશના રહેવાસી છે. તેમના નામ લેસીના મુફીસ અને અજોમ હોવાનું સામે આવ્યું છે.ત્રણેયે ભેગા મળીને હત્યાને અંજામ આપ્યો હતો. બાદમાં તેઓ લાશના ટુકડા કરીને આરોપી નવશાદની રિક્ષામાં લાશના ટુકડા લઈ ગયા અને અલગ અલગ જગ્યાએ તેમેણે લાશના ટુકડાઓ ફેક્યા હતા.
પોલીસને હાથ પગ જુદી જુદી જગ્યાએ મળ્યા
પોલીસને અમૃતપરા ગામની હદમાંથી લાશના પગ મળ્યા હતા સાથેજ સારંગપુર રેલ્વે સ્ટેશન જોડે હાથ મળ્યા હતા. સીસીટીવી અને બાતમીદારોને આધારે પોલીસે તપાસ આરંભી અને આરોપી નવશાદની રિક્ષા વિશે માહિતી મળતા તેમણે આરોપીઓને પૂછપરછ માટે બોલાવ્યા.
બેભાન કરીને આપ્યો હત્યાને અંજામ
પૂછપરછમાં આરોપીઓએ હત્યાની કબૂલાત આપી, જેમા તેમણે જણાવ્યું કે પહેલા આરોપી લેસીનાએ અકબરને તેના ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેને ઘેનની ગોળી આપી દીધી. તે બેભાન થયો ત્યારબાદ આરોપીઓએ તેની હત્યા કરીને લાશના ટુકડાઓ કર્યા હતા જે ટુકડાઓ લઈને તેઓ રીક્ષામાં નીકળ્યા અને અલગ અલગ જગ્યાએ તેમણે તે ટૂંકડા ફેક્યા હતા.
આરોપીઓ પાસે ડુપ્લીકેટ આધારકાર્ડ
ઉલ્લેખનીય છે કે પોલીસને આરોપીઓ પાસેથી આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જેથી તે મામલે પણ પોલીસે તપાસ આરંભી છે કે ડુપ્લીકેટ આધારકાર્ડ આરોપીઓએ કોની પાસેથી બનાવ્યા હતા. તે સિવાય ચોથો આરોપી નવશાદ ઉત્તરપ્રદેશના બલીયાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે ચારેય આરોપીઓને તેમની કરતૂતને કારણે હાલ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.