જો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન જારી રહ્યું તો આ સદીના અંત સુધી મોટા ભાગનાં પોલર બેર એટલે જે સફેદ રીંછ વિલુપ્ત થઇ જશે. આ દાવો નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત કરાયો છે. ૨૧૦૦ના વર્ષ સુધી માત્ર થોડાં જ પોલર બેર કેનેડાના ક્વીન એલિઝાબેથ દ્વીપ સમૂહમાં બચશે. સંશોધન મુજબ ૨૦૪૦ની શરૂઆતમાં કેટલાય પોલર બેરની પ્રજનન ક્ષમતા ખતમ થવા લાગશે. ત્યાર બાદ તેમનો લુપ્ત થવાનો સિલસિલો શરૂ થઇ જશે. તેઓ માત્ર પુસ્તકો અને કહાણીઓમાં જ બચશે.
૧૯માંથી ૧૩ પ્રજાતિઓ પર અભ્યાસ શરૂ
રિસર્ચ મુજબ સંશોધકોએ પોલર બેરની ૧૯માંથી એ ૧૩ પ્રજાતિઓનો અભ્યાસ કર્યો છે, જેની દુનિયાભરમાં જનસંખ્યા ૮૦ ટકા સુધી છે. રિસર્ચ દરમિયાન સંશોધકોએ કેનેડાઇ આર્કટિક વિસ્તારના દ્વીપ સમૂહોનાં પોલર બેરને છોડી દીધાં છે. તેનું કારણ એ છે કે અહીંનાં ભૌગોલિક વિસ્તારમાં તેનું અનુમાન લગાવવું અત્યંત મુશ્કેલ છે.
દુનિયાભરમાં ૧૯ પ્રજાતિઓનાં ૨૬,૦૦૦ પોલર બેર
દુનિયાભરમાં આ પ્રજાતિનાં ૨૬,૦૦૦ પોલર બેર છે. તે નોર્વેથી લઇને કેનેડા સુધી મળી આવે છે. તેઓ ભોજન માટે માછલી પર નિર્ભર રહે છે. તેઓ બરફમાંથી મળી આવતી માછલીઓ પકડીને ખાય છે. ઘણી વાર તેમને ભોજન શોધવામાં કેટલાય દિવસો લાગી જાય છે. તાજેતરમાં ભૂખથી તડપતાં અને હાડપિંજર જેવાં દેખાતાં પોલર બેરની તસવીર વાઈરલ થઇ છે.
કેમ ઘટી રહી છે જનસંખ્યા
ગ્લોબલ વોર્મિંગ વધવાને કારણે ગ્લેશિયરોનાં બરફ પીગળી રહ્યા છે. તેમની ઘટતી જનસંખ્યા પાછળ આ એક મોટો મુદ્દો છે. તેમને લાંબા સમય સુધી ભોજન ન મળતું હોવાથી તેઓ પ્રજનનને લાયક રહેતા નથી. જો ગ્રીન હાઉસ ગેસો પર લગામ નહીં લગાવાય તો ૨૦૮૦ સુધી અલાસ્કા અને રશિયાનાં બધાં બેર ખતમ થઇ જશે. ૨૧૦૦ ની સાલ સુધી આખી દુનિયામાં તેમની વસ્તી જ ખતમ થઇ જશે. તેઓ નરભક્ષી છે. ભોજન ન મળે તો તેઓ માણસોને ખાઇ શકે છે અને એમ ન થાય તો તેઓ એકબીજાંને મારીને પણ ખાઇ જાય તેવું બની શકે છે.