21 ફેબ્રુઆરીના દિવસે મતદાનના કુલ આંકડા અને લોકોનું મતદાન માટે વલણ જોઈ એવું લાગી રહ્યું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો જુસ્સો કામ આવ્યો નથી.
ગુજરાતમાં મનપાની ચૂંટણી નિરાશાજનક!
ભાજપના સી.આર પાટીલનો જુસ્સો કામ ન આવ્યો ?
પ્રધાનમંત્રીએ પણ પેજ પ્રમુખોને લખેલા પત્રની કોઈ અસર નહીં?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સી.આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાાવ્યા હતા. જે બાદ પાટીલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી ભાજપે લડી રહી છે. તેમાં સાથ પૂરાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકરો માટે એક પત્ર પણ લખ્યો હતો. પરંતુ 21 ફેબ્રુઆરીના દિવસે મતદાનના કુલ આંકડા અને લોકોનું મતદાન માટે વલણ જોઈ એવું લાગી રહ્યું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો જુસ્સો કામ આવ્યો નથી.
6 મનપાની ચૂંટણીમાં સરેરાશ માત્ર 41.75 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ જેવા ભાજપના ગઢમાં સૌથી ઓછું 38.73 ટકા મતદાન નોંધાયું છે. આ તમામ આંકાડ સ્પષ્ટ કરી રહ્યા છે કે, ભાજપના કાર્યકરો લોકોને બૂથ સુધી લઈ આવવામાં નિષ્ફળ ગયા છે.
સી.આર પાટીલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ ચૂંટણી અસંતોષકારક?
કોરોના કાળ વચ્ચે પણ સી.આર પાટીલ તમામ પ્રદેશમાં ફરી રહ્યા હતા. તેમના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી હતી. ત્યારે તેમની કામગીરીની મૌલીક તો વાહ-વાહ જોવા મળી રહી હતી. પરંતુ સમગ્ર મામલો મતદાનના આંકડા જોઈને સ્પષ્ટ થઈ ગયો છે. સભાઓ ગજવવી અને તેને મતમાં પરિવર્તન કરવું એ સરળ નથી. ચહેરા પર જોશ દેખાડવો અને હકિકતની પરિસ્થિતિ બનાવવી એ આજની ચૂંટણીનું મતદાન જોઈ સ્પષ્ટ થઈ ગયું છે.
PM મોદીએ પણ પત્ર લખી પેજ પ્રમુખોને બિરદાવ્યા હતા
અમિત શાહ પોતાની તાકાત પોતાના પેજ પ્રમુખોને ગણાવે છે. અને ભાજપની ચૂંટણીલક્ષી કામગીરી પણ તેના પેજ પ્રમુખ છે. ભાજપને કેડરબેઝ પાર્ટી જ તેના પેજ પ્રમુખોના કારણે ઓળખવામાં આવે છે. ત્યારે પ્રધાનમંત્રીએ પોતાની પાર્ટીના પેજ પ્રમુખો માટે પત્ર લખીને શુભેચ્છા પાઠવી હતી. આ પત્રને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ચૂંટણી પહેલા લોકોની કામગીરીને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી. ચૂંટણીની જાહેરાતથી પ્રચારના છેલ્લા દિવસ સુધીની કામગીરી અંગે પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આ પત્રની શુભેચ્છા પ્રમાણે મતદાનની અસર જોવા ન મળી તેવું કહી શકાય છે.
ભાજપના નેતાઓની રાત-દિવસનો ચૂંટણી પ્રચાર
જે પ્રકારે ભાજપના નેતાઓ એક પછી એક સભાઓને સંબોધન કરી રહ્યા હતા. અને જાહેર સભાના આયોજન થઈ રહ્યા હતા. તેનો ચિતાર મતદાન વખતે જોવા મળી ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાજપ પૂરા જોશમાં હોવાની વાતો ચાલી રહી હતી. પરંતુ 41 ટકા મતદાને પાર્ટીઓનો જોશ ઠારી દીધો છે.
પેજ પ્રમુખની કામગીરી શું?
ગુજરાતમાં ભાજપના સંગઠનમાં પ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂંક કરાઇ છે. જે તે વિસ્તારની મતદારયાદી એટલે કે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડેલી મહત્વની યાદીના એક એક પેજ પર પ્રમુખોની નિમણૂંક કરવામાં આવે છે. જેની શરૂઆત ભાજપે કરી હતી. ઉલ્લેખનીય છે કે આ એક પેજમાં 30 મતદાતાઓના નામ હોય છે. આ 30 મતદાતા સાથે પેજ પ્રમુખ સીધો સંપર્ક કરી શકે છે. જેથી ચૂંટણી આવે ત્યારે લાખો પેજ પ્રમુખો મતદાતા સાથે સંપર્કમાં હોય છે. મતદાતા સાથે સાથે તેઓ તેમના આગેવાનના પણ સંપર્કમાં હોય છે. આવી રીતે મત મેળવવાનો અને મતદારોને રિઝવવાનો સીધો પ્રયાસ પેજપ્રમુખો કરતા હોય છે.
કોંગ્રેસે પણ ઓછા મતદાન માટે ભાજપ પર ફોડ્યું ઠીકરું
મતદાનની છેલ્લી ઘડીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ઓછા મતદાન માટે ભાજપ જવાબદાર છે. અમિત ચાવડાએ કહ્યું કે, વધુ કે ઓછું મતદાન શાસકો પ્રત્યેનો રોષ દર્શાવે છે. પરંતુ ઓછા મતદાનમાં કોંગ્રેસનો ભાગ કેટલો એ વાતનો જવાબ તો પરિણામના દિવસે મળશે. આ સાથે VTVના માધ્યમથી લોકોને મતદાન કરવાની અમિત ચાવડાની અપીલ છે. અનેક જગ્યાઓ પર ગેરરીતિની ફરિયાદો સામે આવી હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પંચમાં કોંગ્રેસે ગેરરીતિઓ અંગે ફરિયાદો કરી છે. નિકોલમાં અસામાજિક તત્વોને છૂટો દોર અપાયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપના ઈશારે અસામાજિક તત્વો મતદાતાઓને ડરાવતા હોવાની વાત ચાવડાએ કરી છે.