આજે વડા પ્રધાનના કાર્યાલય (PMO)ના વરિષ્ઠ અધિકારીઓની નાણાં મંત્રાલયના પાંચ સચિવ સહિત ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજાનાર છે. આ બેઠકમાં અમીરો પરનો સરચાર્જ પાછો ખેંચવા અથવા તેમાં રાહત આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.
આ ઉપરાંત ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરની મંદી દૂર કરવાના ઉપાયો પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ અગાઉ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એવો નિર્દેશ આપ્યો હતો કે સરકાર સુધારણાના ઉપાયો પર વિચારણા કરી રહી છે.
પીએમઓના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા પણ આજે નાણાં મંત્રાલય સાથેની બેઠકમાં હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેની આ બેઠકમાં ઓટો અને રિયલ્ટી સેક્ટરની સાથે સાથે એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)થી પ્રભાવિત શેરબજારમાં સુસ્તીને દૂર કરવા માટેના વિકલ્પ કે સમાધાન રજૂ કરવામાં આવશે.
નાણાપ્રધાને ગઇ કાલે એવો નિર્દેશ આપ્યો હતો કે અત્યાર સુધી મેં બેન્કો, નાણાકીય સંસ્થાઓ, એસએમઇ, ઉદ્યોગ અને ઓટોમોબાઇલ સહિત પાંચ અલગ અલગ સમૂહના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી છે. હવે કેવાં પગલાં ઉઠાવવા તે અંંગે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલયની પ્રથમ પ્રાથમિકતા એફપીઆઇ સરચાર્જનો ઉકેલ લાવવાની રહેશે, જેના કારણે શેરબજાર મંદીમાં સપડાયું છે. આ ઉપરાંત ઓટો સેક્ટરને ફરી રાહત અને ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવવા પર પણ વિચારણા કરાશે.