દિલ્હી હાઈકોર્ટે વડા પ્રધાન કાર્યાલય PMO હેઠળના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન અધિકારી CPIOને એક અરજી ઉપર પોતાનો જવાબ ફાઇલ કરવા જણાવ્યું છે. નોંધનીય છે કે CPIOએ RTI દ્વારા પીએમ કેરસ ફંડ સંબંધિત દસ્તાવેજો અને માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજીમાં CPIOના આ નિર્ણયને પડકારવામાં આવ્યો છે.
હાઈકોર્ટમાં આ કેસમાં સુનાવણી દરમિયાન હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ કેસમાં અરજી દાખલ કરવાનું જ્યુરીસ્ડિકશન બનતું નથી. તેથી, આ કેસની સુનાવણી થવી જોઈએ નહીં અને અરજીને અદાલતે નકારી દેવી જોઈએ.
દિલ્હી હાઈકોર્ટે CPIOને તેનો જવાબ ફાઇલ કરવા માટે 8 અઠવાડિયાનો સમય આપ્યો
હાલમાં હાઈકોર્ટે આ મામલામાં CPIOના જ્યુરીસ્ડિકશન અને PM CARES ફંડના RTIના કાર્યક્ષેત્રમાં ન આવવા એ બંને મુદ્દા પર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે CPIOને તેનો જવાબ ફાઇલ કરવા માટે 8 અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ કેસમાં આગામી સુનાવણી 28 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. સમ્યક ગંગવાલ વતી તેના વકીલો દેવપ્રિયા મૂળિક અને આયુષ શ્રીવાસ્તવ તરફથી દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલે PM CARES ફંડને RTIના કાર્યક્ષેત્ર હેઠળ લાવવા માટે દાખલ કરેલી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ઓનલાઇન RTI
RTI હેઠળ CPIO દ્વારા માંગવામાં આવેલી માહિતીને એમ કહીને નકારી કાઢવામાં આવી હતી કે PM CARES ફંડ RTIના દાયરામાં આવતું નથી. અરજદારનું કહેવું છે કે 1 મેના રોજ તેમણે ઓનલાઇન RTI અરજી સબમિટ કરી હતી અને PM CARES ફંડ સંબંધિત તમામ દસ્તાવેજો માંગ્યા હતા અને કોની મંજૂરી પર આ ભંડોળ બનાવવામાં આવ્યું હતું તે પૂછવામાં આવ્યું હતું.
જો કે CPIO દ્વારા 2 જૂને જવાબ આવ્યો કે આ માહિતી તેમને આપી શકાય એમ નથી કારણ કે PM CARES ફંડ પબ્લિક ઓથોરિટી નથી અને આને લગતી વેબસાઇટ પર માહિતી જોઈ શકાય છે જ્યારે અરજદારનું કહેવું છે કે ભંડોળ સંબંધિત માહિતી વેબસાઇટ પર હાજર નથી. અરજદારનું કહેવું છે કે જાહેર નાણાં એકત્રિત કરવા માટે બનાવવામાં આવેલ PM CARES ફંડ RTIના દાયરામાં આવે છે અને તેની માહિતી લોકોને જાહેર કરવી જોઈએ.