PMC બેન્ક કૌભાંડમાં ફસાયેલા લાચાર ગ્રાહકોની મુશ્કેલીઓ રોજ નવા-નવા સ્વરૂપે સામે આવી રહી છે. બેન્કમાં પૈસા હોવા છતા આર્થિક સંકટથી ઘેરાયેલા એક વૃદ્ધે આજે જીવ ગુમાવવો પડ્યો. મુંબઇમાં મુરલી ધર નામના વૃદ્ધનું આજે તેમના ઘરે નિધન થઇ ગયું.
PMC બેન્ક કૌભાંડમાં ફસાયેલા લાચાર ગ્રાહકોની બહાર આવી રહી છે મુશ્કેલીઓ
બેન્કમાં પૈસા હોવા છતા આર્થિક સંકટથી ઘેરાયેલા એક વૃદ્ધનું મોત
PMC બેન્કમાં પૈસા ફસાયેલા હોવાને કારણે વૃદ્ધ બાયપાસ સર્જરી ન કરાવી શક્યા
તેમના પુત્ર પ્રેમ ધરનું કહેવું છે કે ડૉક્ટરે બાયપાસ સર્જરી માટે કહ્યું હતું પરંતુ તમામ પૈસા PMC બેન્કમાં ફસાયેલા હોવાને કારણે સર્જરી ન કરાવી શક્યા. ચાર દિવસ પહેલા જ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્ક કૌભાંડથી પીડિત ખાતાધારકોમાંથી એક સંજય ગુલાટીનું એેટેક આવવાથી મોત થઇ ગયું હતું.
મુરલી ધરના પરિવારજનોના લગભગ 80 લાખ રૂપિયા અલગ-અલગ એકાઉન્ટોમાં બેન્કમાં જમા છે. મુરલી ધરનો પરિવાર મુંબઇની મુલુંડ કોલોનીમાં રહે છે. નોંધનીય છે કે, ગત 14 ઓક્ટોબરે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ (PMC) બેન્ક કૌભાંડથી પીડિત ખાતાધારકોમાંથી એક સંજય ગુલાટીનું હાર્ટ એેટેકથી મોત થઇ ગયું હતું.
સંજયના પરિવારના 90 લાખ રૂપિયા પીએમસી બેન્કમાં ફસાયા હતા. સંજયની પહેલા જેટ એરવેઝની નોકરી ચાલી ગઇ હતી. બાદમાં તમામ જીવનભરની મુડી બેન્કમાં ફસાઇ ગઇ હતી. જેનો આઘાત સહન કરી શક્યા નહોતા. સોમવારે સંજય કિલ્લા કોર્ટ સામે પ્રદર્શનમાં પણ સામેલ થયા હતા. બપોરે જ્યારે તે ઘરે આવ્યા તો તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
સંજય ગુલાટીના મોત પહેલા એક 39 વર્ષીય મહિલા ડૉક્ટરે મુંબઇના પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક (PMC Bank)માં ખાતા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસે શરૂઆતની તપાસના આધારે આત્મહત્યાનું કારણ બેન્કમાં થયેલ કૌભાંડને માન્યું નથી. મૃતક ડૉક્ટરની ઓળખ નિવેદિતા બિજલાની રૂપે કરાઇ છે. પોલીસનું માનવું છે કે મહિલા ડૉક્ટરે અન્ય કારણથી આત્મહત્યા કરી હતી. હાલ તેની તપાસ ચાલી રહી છે.