કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અનુચ્છેદ 370ના મુદ્દાનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કરવાનો આરોપ લગાવતા શનિવારે કહ્યું કે, પીએમ મોદીએ જનતાની સામે બોલવું જોઇએ કે, કોંગ્રેસની સરકારે 1971માં પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા.
કોંગ્રેસનો નરેન્દ્ર મોદી પર અનુચ્છેદ 370ના મુદ્દાનો રાજનૈતિક ફાયદા માટે ઉપયોગ કરવાનો આરોપ
કપિલ સિબ્બલે કહ્યું-કોંગ્રેસની સરકારે 1971માં પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા
પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પત્રકારોને કહ્યું, ''ચૂંટણી આવતા જ મોદીજી અને અમિત શાહજી અસલી મુદ્દાને ભૂલી જાય છે અને ક્યારેક એનઆરસીની વાત કરે છે તો ક્યારેક અનુચ્છેદ 370ની વાત કરે છે. અનુચ્છેદ 370થી લોકોનું પેટ નહીં ભરાય, લોકોને રોજગાર તો નહીં મળે.''
એમણે કહ્યું. 'વડાપ્રધાન હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં અનુચ્છેદ 370ની વાત કરે છે. અનુચ્છેદ 370 અને જમ્મૂ કાશ્મીર અમારો આંતરિક મામલો છે. પરંતુ જનતાને તેમણે એ પણ જણાવવું જોઇએ કે કોંગ્રેસની સરકારમાં પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખવામાં આવ્યા હતા. હું જાણુ છું કે તેમણે આ નહીં બોલે, કેમકે તેમનામાં આ કહેવાની હિમંત નથી.'
અર્થવ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરતા સિબ્બલે કહ્યું, ' IMF, વિશ્વ બેન્ક અને બીજી સંસ્થાઓ કહી રહી છે કે ભારતમાં મંદી છે પરંતુ સરકાર માનવા માટે તૈયાર નથી. પીયૂષ ગોયલ કહે છે કે અભિજીત બેનર્જી વામ તરફ ઝુકાવ રાખે છે. એમણે સવાલ કર્યો 'શું આઇએમએફ અને વિશ્વ બેન્ક પણ વામ તરફ ઝુકાવ રાખે છે? શું સુબ્રમણ્યમ સ્વામી પણ વામ તરફ ઝુકાવ રાખે છે?'
PMC બેન્ક મામલાનો હવાલો આપતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે બેન્કમાં ખાતાધારકોને તેમના પૈસા નહીં મળી રહ્યા. કેટલાક લોકોના મોત પણ થઇ ગયા છે.