વડાપ્રધાન નરેન્દ્રી મોદી દક્ષિણ કોરિયાના સિયોલની મુલાકાતે છે અને આજે મુલાકાતનો બીજો દિવસ છે. જેમાં વડાપ્રધાન મોદીને સિયોલમાં શાંતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારથી સમ્માનિત થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વ્યક્તિ છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ સમ્માન મને નહીં પણ ભારતીય નાગરિકોને સમર્પિત છે. આજે વિશ્વએ ભારતની વસુધૈવ કુટુમ્બકમ નીતીને અપનાવી છે. ભારતે હંમેશા વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો છે. આ એવોર્ડ મહાત્માગાંધીની 150મી જયંતિ નિમિત્તે મળ્યો તે બહુ મોટી વાત છે.
પીએમ મોદીએ એવું પણ જણાવ્યું કે, આ સમ્માનમાં તેમને જે રાશી મળી છે તે રાશિને તેઓ નમામિ ગંગેના ફંડમાં ભેટ કરવા ઈચ્છે છે.
ઉપરાંત પીએમ મોદીએ આ દરમિયાન આતંકવાદના મુદ્દાની પણ વાત કરતા કહ્યું કે, આજે આતંકવાદ વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેની સામે લડવા માટે વિશ્વએ એકજૂટ થવાની જરૂર છે. આતંકવાદની બીમારી વિશ્વ શાંતિ માટે એક મોટો ખતરો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. પીએમ મોદીએ આજે સિયોલ પહોંચ્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ સિયોલમાં ફરી એકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું કે પુલવામા થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ મૂ જે ઇને સંવેદના અને સમર્થન આપવાનો સંદેશ આપ્યો તે બદલ હું તેમનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું હતું કે અમે આતંકવાદ વિરુધ્ધ પોતાના દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ તથા સમન્વયને વધુ મજબૂત બનાવવા કટિબદ્ધ છીએ.