સરકાર તરફથી પીએમ મોદી, નીતિન ગડકરી અને રાજનાથ સિંહ ચર્ચામાં સામેલ થાય તેવુ કર્યું સૂચન
કૃષિ સુધારા સાથે જોડાયેલા મતભેદોને ચર્ચાથી ઉકેલી શકાય છે : શરદ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારે રવિવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરી જેવા વરિષ્ઠ મંત્રીઓએ ત્રણ નવા કૃષિ કાયદાઓ ઉપરની મડાગાંઠને ઉકેલવા માટે ખેડૂતો સાથે વાતચીત કરવી જોઇએ. તેમણે કહ્યું કે કૃષિ સુધારા સાથે જોડાયેલા મતભેદોને ચર્ચા-વિચારણા દ્વારા ઉકેલી શકાય છે.
પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ કૃષિ પ્રધાને કર્યું સૂચન
શરદ પવારે પૂણે જિલ્લાના બારામતી ખાતે પત્રકારોને આ વાત કહી હતી. તેમણે કહ્યું, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ અને નીતિન ગડકરી જેવા વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનોએ ખેડૂત સંગઠનો સાથે વાત કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વિશે તેમણે કહ્યું કે તેઓ પણ મુંબઈના છે અને મને નથી ખબર કે તે કૃષિ વિશે કેટલું જાણે છે. "
મહત્વનું છે કે કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ મંત્રી તોમર અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ખેડૂત સંગઠનો સાથે યોજાયેલી વાટાઘાટમાં સામેલ થયા હતા. શરદ પવારે કહ્યું કે કૃષિ એ રાજ્ય સાથે સંબંધિત એક મુદ્દો છે અને રાજ્ય સરકારો સાથે પરામર્શ કર્યા પછી જ આ કાયદાઓ લાગુ કરવામાં આવવા જોઈએ. પૂર્વ કૃષિ પ્રધાનના જણાવ્યા મુજબ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન 2003થી કૃષિ સુધારણાના કાયદાની ચર્ચા કરવામાં આવી હતી.
મારા સમયમાં પણ કૃષિ કાયદાઓ પર થઈ હતી ચર્ચા
તેમણે કહ્યું, 'મારા સમયમાં પણ રાજ્ય સરકારો સાથે પણ ચર્ચા થઈ હતી કારણ કે તે રાજ્ય સાથે સંબંધિત એક મુદ્દો છે. કાનૂની ડ્રાફ્ટ તૈયાર કરવા અને તેનો અભ્યાસ કરવા નવ રાજ્યોના કૃષિ પ્રધાનોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. હાલના સરકારે તેનો કાયદો તૈયાર કર્યો હતો અને ચર્ચા વગર આ કાયદાને સંસદમાં પણ પસાર કરી દેવાયું. "