ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીજ આ મેચ જોવા માટે અમદાવાદના આંગણે આવી શકે છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે 4 ટેસ્ટ મેચ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે છેલ્લી ટેસ્ટ મેચ
PM એન્થોની એલ્બનીજ અને PM મોદી સાથે જોઈ શકે છે આ મેચ
ન્યૂઝીલેન્ડ સામેની T-20 મેચ પૂરી થયા બાદ હવે ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચો રમાવાની છે. ટીમ ઈન્ડિયાને લગભગ એક અઠવાડિયા સુધી આરામ મળશે અને ત્યારબાદ નવું અભિયાન શરૂ થઈ જશે. ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે. આ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત આવી ચુકી છે અને તૈયારીઓ પણ ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ બે મેચ માટે BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ટીમ એકત્ર થશે અને ત્યાર બાદ પ્રેક્ટિસ શરૂ થશે. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમો ખાસ કરીને ટેસ્ટમાં જ્યારે સામસામે હોય છે, ત્યારે સમગ્ર વિશ્વની નજર તેના પર હોય છે. આ વખતે પણ એવું જ થશે.
ઑસ્ટ્રેલિયાના PM અને PM મોદી સાથે જોઈ શકે છે છેલ્લી ટેસ્ટ મેચ
આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીજ સાથે જોઈ શકે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી આ પ્રસંગ વધુ ખાસ બનશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ રમાશે. અમદાવાદનું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, પરંતુ ખાસ વાત એ છે કે જેમના નામ પર આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેડિયમમાં બેસીને એક પણ લાઈવ મેચ નથી જોઈ. એક રિપોર્ટ મુજબ, આ વાતની સંભાવના છે કે પીએમ નરેન્દ્ર મોદી આ મેચને જોવા માટે આવશે, એટલું જ નહીં ઑસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલ્બનીઝ પણ આ મેચ જોવા માટે ગુજરાત આવી શકે છે. એટલે કે બંને દેશના વડાપ્રધાનો એક સાથે મેચ નિહાળતા જોવા મળશે.
બંને ટીમો માટે આ સિરીઝ ઘણી ખાસ
ભારત અને ઑસ્ટ્રેલિયા બંને દેશો માટે આ સિરીઝ ઘણી મહત્વની છે. ખાસ કરીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના સંદર્ભમાં. માનવામાં આવી રહ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ WTCની ફાઈનલ માટે ક્વોલિફાઈ થશે, પરંતુ ટીમ ઈન્ડિયાને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી પડશે અને એક મેચ ડ્રો થશે તો પણ કામ થઈ જશે. આ દરમિયાન મેચ ICC રેન્કિંગની બે ટોચની ટીમો વચ્ચે છે. ઑસ્ટ્રેલિયા અત્યારે નંબર વનની ખુરશી પર છે, જ્યારે ટીમ ઈન્ડિયા નંબર ટુ પર છે. ટીમ ઈન્ડિયા એક જ તીરથી બે શિકાર કરવાનો પ્રયાસ કરશે. જો સિરીઝ પર મોટા માર્જિનથી કબજો કરશે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી થશે. સાથે જ ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર વન પર જવાની તક મળશે.