ઉત્તરપ્રદેશની સૌથી હાઈપ્રોફાઈલ અને મહત્વપૂર્ણ બેઠક એટલે વારાણસી. વારાણસી આમે પણ હિન્દુ ધર્મના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ફરી એકવાર વારાણસીથી મોદી મેદાનમાં છે. શુક્રવારે પ્રધાનમંત્રી મોદી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. પરંતુ આજે મોદીએ મેગા રોડ શો કરી પોતાની શક્તિનો પરચો વિપક્ષી પાર્ટીઓને આપ્યો હતો. ત્યારે જે પ્રકારના સમિકરણો રચાયા તેને જોતા મોદીની જીત આસાન છે. ભાજપ માત્ર રેકોર્ડ બ્રેક જીત પર ફોકસ કરી રહી છે.
નરેન્દ્ર મોદી શુક્રવારે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કરશે. પરંતુ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગુરુવારે વારાણસી મોદીમય બની ગઈ. કાશીની ગલીઓમાં એક અવાજ સંભળાઈ રહ્યો હતો. તે હતો મોદી...મોદી...કાશી જાણે ફરી એકવાર ભગવા રંગમાં રંગાઈ ગઈ હતી. 2014માં જ્યારે મોદીએ રોડ શો કર્યો તેવો જ મેગા શો ગુરુવારે જોવા મળ્યો. શહેર, ગલી મહોલ્લા તમામ જગ્યાએથી મોદી...મોદી અવાજ જ ગુંજી રહ્યો હતો. 2014માં પણ આ જ પ્રકારે મોદીએ કાશીથી ચૂંટણી લડી પૂર્વાંચલમાં વિપક્ષી પાર્ટીઓનો સફાયો કરી દીધો હતો.
નરેન્દ્ર મોદીની રાહ આ વખતે 2014થી પણ આસાન
પહેલા વારાણસી બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી અટકળો હતી. ત્યારે કોંગ્રેસ અજય રાયને ટિકિટ આપી દીધી. તો સમાજવાદી પાર્ટી અને બહૂજન સમાજ પાર્ટીનું યુપીમાં ગઠબંધન છે. ગઠબંધનમાં વારાણસી બેઠક સમાજવાદી પાર્ટીના કોટામાં આવી છે. ત્યારે સપાએ એવા ઉમેદવાર પર દાવ લગાવ્યો છે જે મેયરની ચૂંટણીમાં ભાજપના મૃદુલા જયસ્વાલ સામે ભૂંડી રીતે હાર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની રાહ આ વખતે 2014થી પણ આસાન છે. આજ કારણે ભાજપના નેતા રિકોર્ડ મતોથી જીત પર વિશ્વાસ રાખી રહ્યા છે.
કેજરીવાલે બનારસની ગલીઓમાં ફરી ફરીની મત માગ્યા
2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વારાણસીની સાથે વડોદરાથી પણ રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. પરંતુ રાજકીય ઘમાસાણ કાશીમાં જોવા મળ્યું હતું. કારણ કે મોદીની સામે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય મેદાનમાં ઉતરીને મુકાબલો રોચક બનાવી દીધો હતો. દેશભરની નજર વારાણસી બેઠક પર હતી. કેજરીવાલ પોતાની ટીમ સાથે બનારસની ગલીઓમાં ફરી ફરીની મત માગી રહ્યા હતા.
કાશીના માહોલને મોદી મય બનાવી દીધો
મુકાબલો રોચક લાગતા નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના અંતિમ ત્રણ દિવસ વારાણસીમાં તંબુ તાણી દીધો. આ ત્રણ દિવસ દરમિયાન તેમણે રોડ શો અને નાની નાની નુક્કડ સભાઓ કરીને કાશીના માહોલને મોદી મય બનાવી દીધો. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે મોદીએ કેજરીવાલને લગભગ પોણા ચાર લાખથી વધુ મતોથી માત આપીને જીત મેળવી હતી. વારાણસીની બેઠક પર કોંગ્રેસના અજય રાય, બસપાના અજય પ્રકાશ જયસ્વાલ અને સમાજવાદી પાર્ટીના કૈલાશ ચૌરાસિયાના કુલ મળીને જેટલા મત મળ્યા હતા તેનાથી અનેક ઘણા વધારે મત નરેન્દ્ર મોદીના ભાગમાં આવ્યા હતા. આ વખતે 2019ના રણમાં ભાજપમાંથી નરેન્દ્ર મોદી, કોંગ્રેસમાંથી અજય રાય અને સપામાંથી શાલિની યાદવ ઉમેદવાર છે.
વિપક્ષની પાસે કોઈ ચહેરા નથી
તો રાજકીય વિશ્લેષકોના મતે આ વખતે નરેન્દ્ર મોદીની સામે સંપૂર્ણ મેદાન ખાલી પડ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં બનારસમાં ઘણા વિકાસ કાર્યો થયેલા છે. વિપક્ષની પાસે કોઈ એવો ચહેરા નથી જે વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે. રાજકીય વિશ્લેષકોએ વધુ કહ્યું કે વિપક્ષ જરૂર જાતિય વાડાબંધી કરીને મોદી સામે પડાકાર ફેંકવાની વાત કરતો હોય. પરંતુ તેમાં સફળતા મળવાની સંભાવના ખુબ જ ઓછી છે. તો બનારસના જનતા પણ મોદીના વિકાસ કાર્યોથી ઘણી જ ખુશ જોવા મળી રહી છે.
તો કાશીના સંતોના મતે નરેન્દ્ર મોદી હાલ પ્રધાનમંત્રી છે. તેમની લોકપ્રિયતા 2014 કરતા આ વખતે વધારે જોવા મળી રહી છે. 2014માં બનારસનો વિકાસ કરવાના વાયદા સાથે મત મેળવવાના હતા. જ્યારે આ વખતે વિકાસ કરીને તેઓ મત માગવા આવ્યા છે. બનારસમાં મોદીએ કરેલો વિકાસ જોવા મળી રહ્યો છે.
પરંતુ મોદી જ્યારે વારાણસીના રણમેદાનમાં ઉતર્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ભાજપના ઉમેદવાર છે. જ્યારે વિપક્ષ મોદીને ટક્કર આપવા સપામાંથી શાલિની યાદવ અને કોંગ્રેસે અજય રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. શાલિની યાદવ દલિત, મુસ્લિમ અને યાદવ મતોના સહારે મોદીને માત આપવાનો ખ્વાબ જોઈ રહ્યા છે. તો અજય રાય મુસ્લિમ અને ભૂમિહાર મતોના સહારે ટક્કર આપવાની વાત કરી રહ્યા છે. પરંતુ મોદી જ્યારે વારાણસીના રણમેદાનમાં ઉતર્યા છે. ત્યારથી તેમણે તમામ જ્ઞાતિ-જાતિના સમિકરણો મિટાવી દીધા છે. તમામ જ્ઞાતિના જંગી મતો તેઓ પ્રાપ્ત કરીને વિજયી બની રહ્યા છે.