પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળી પહેલા એટલે કે 21 અને 22 ઓકટોબરના રોજ કેદારનાથ ધામની મુલાકાત લેશે. જાણો વિગતવાર
દિવાળી પહેલા પીએમ મોદી લેશે કેદારનાથ ધામની મુલાકાત
કેદારનાથમાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોને લઈને અધિકારીઓ સાથે કરશે મુલાકાત
સીએમ ધામીએ પુનર્નિર્માણ કાર્યની કરી સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવાળી પહેલા ઉત્તરાખંડનો પ્રવાસ કરશે. PM મોદીનો બે દિવસનો પ્રવાસ હશે. તેઓ 21 અને 22 ઓકટોબરના રોજ આ પહાડી રાજ્યની મુલાકાત લેશે. પીએમ મોદી 21 ઓકટોબરના રોજ કેદારનાથ ધામ પહોંચીને પૂજા અર્ચના કરશે અને સાથે જ આ જ દિવસે ચાર ધામોમાંના એક બદ્રીનાથ પણ જશે. તેમનો ત્યાર બાદ સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ છે.
ચમોલીમાં સેનાના અધિકારીઓ સાથે કરશે મુલાકાત
જણાવાઈ રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી ભગવાન બદ્રી વિશાલની પૂજા - અર્ચના બાદ ચમોલીમાં જિલ્લાના સરહદી વિસ્તારમાં સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેઓ કેદારનાથમાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યોને લઈને અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાન હેઠળ ચાલી રહેલા કાર્યો પર પણ વાતચીત કરવામાં આવશે. આ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે.
સીએમ ધામીએ પુનર્નિર્માણ કાર્યની કરી સમીક્ષા
પીએમ મોદીના પ્રસ્તાવિત પ્રવાસ પહેલા મંગળવારે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે પુનર્નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. પીએમ મોદીના પ્રવાસને લઈને તેમણે કહ્યું હતું કે તેમનો પ્રવાસ પ્રસ્તાવિત છે. 2021માં તેઓ દિવાળી પહેલા કેદારનાથ ધામ આવ્યા હતા. જ્યારે થોડા દિવસો પહેલા જ સીએમ ધામીએ પીએમ નરેન્દ્ર મોદીને કેદારનાથ અને બદ્રીનાથનું આમંત્રણ આપ્યું હતું. જણાવી દઈએ કે 2014ના પહેલા કાર્યકાળથી જ પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે.