દિવ્યાંગોના સમૂહલગ્નમાં C.R પાટીલે જાહેરાત કરતા કહ્યું કે, '18મીએ PM મોદી વડોદરા આવશે. જેમાં 5 લાખ લોકોએ ભેગાં થવાનું છે.'
18મી જૂનના રોજ PM નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે
દિવ્યાંગોના સમૂહલગ્નમાં CR પાટીલે કરી મહત્વની જાહેરાત
5 લાખ લોકોને ભેગાં કરી ક્યારેય નહીં થયો હોય એવો કાર્યક્રમ કરીશું: પાટીલ
18મી જૂનના રોજ PM મોદી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. દિવ્યાંગોના સમૂહલગ્નમાં C.R પાટીલે આ અંગેની જાહેરાત કરી હતી. સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજિત કાર્યક્રમમાં પાટીલે જાહેરાત કરતા કહ્યું કે, '18મી જૂનના રોજ PM નરેન્દ્ર મોદી વડોદરા આવશે. PM વડોદરા આવે ત્યારે તેમનું સ્વાગત કરવા લોકો ઘરની બહાર નીકળે. આપણે ક્યારેય નહીં થયો હોય તેવો કાર્યક્રમ કરીશું. 5 લાખ લોકોને ભેગાં કરી આ કાર્યક્રમ કરીશું.' પાટીલે જાહેર મંચ પરથી ભાજપના કાર્યકરો અને લોકોને આ અપીલ કરી હતી.
PM મોદી 18 જૂનનાં રોજ એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે
CR પાટીલે લોકોને મહોલ્લા સજાવવા, રંગોળી દોરવા, ઝંડા લગાવવા સહિત વાજતે-ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપ્યું. જણાવી દઇએ કે, PM મોદી 18 જૂનનાં રોજ એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે. ત્યાર બાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.
વડોદરાના આંગણે 108 દિવ્યાંગોના સમૂહ લગ્નોનો કાર્યક્રમ કદાચ પહેલી વખત થઈ રહ્યો છે
આ સિવાય CR પાટીલે જણાવ્યું કે, દિવ્યાંગોના સમૂહ લગ્ન એ બોલવું સહેલું છે. કદાચ આખા દેશમાં આ 108 દિવ્યાંગોના સમૂહ લગ્નોનો કાર્યક્રમ વડોદરાના આંગણે પહેલી વખત થઈ રહ્યો છે. આજના જમાનામાં સમૂહ લગ્ન ઘણાં બધા લોકો કરતા હોય છે, પરંતુ દિવ્યાંગોના સમૂહ લગ્ન કરવા અને એ પણ 54 જોડાં મળીને કુલ 108 યુગલોના સમૂહલગ્ન કરવા એ ખૂબ મોટું કામ છે.
મોદી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ચીખલી ખાતે આવશે
બીજી બાજુ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદી 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના ચીખલી ખાતે આવશે. આદિવાસી ગૌરવ સંમેલનમાં હાજરી આપશે. અમદાવાદમાં પણ PM મોદીનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. બોપલ ખાતે નવનિર્મિત ISRO ભવનનું PM મોદી લોકાર્પણ કરી શકે છે.