આવતીકાલ એટલે કે 27 એપ્રિલના બપોરના 12 વાગ્યે પીએમ મોદી બધા રાજ્યોના સીએમ સાથે કોરોના મુદ્દે ચર્ચા કરશે.
27 એપ્રિલ બપોરના 12 વાગ્યે પીએમ મોદીની મોટી બેઠક
તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
કોરોના મુદ્દે મળી રહી છે મોટી બેઠક
દેશમાં વધી રહેલા કોરોના કેસના પડઘા કેન્દ્રીય સ્તરે પડ્યાં છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઉછાળો આવતા ચિંતિત કેન્દ્ર સરકારે એક મોટી બેઠક બોલાવી છે જે અનુસાર આવતીકાલે બપોરના 12 વાગ્યે પીએમ મોદી તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરીને કોરોના મુદ્દે ચર્ચા કરશે.
રાજયોએ કોરોના પ્રતિબંધો હટાવ્યાં એટલે બેઠકમાં મહત્વના નિર્ણયો થઈ શકે
મુખ્યમંત્રીઓ અને પીએમ મોદીની બેઠક બાદ કોરોનાને કાબુમાં લેવા કેટલાક મહત્વના નિર્ણયો થઈ શકે છે કારણ કે ઘણા રાજ્યોએ કોરોના સંબંધિત કડક પ્રતિબંધો હટાવી લીધી છે જેને કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો છે.
કોણ કોણ હાજર રહેશે પીએમ મોદીની બેઠકમાં
બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રી શાહ, રાજનાથસિંહ સહિતના પીએમઓના અધિકારીઓ હાજર રહેશે અને દેશની કોરોનાની સ્થિતિની સમિક્ષા કરશે.
PM Narendra Modi will interact with state Chief Ministers tomorrow, on 27th April, to review the #COVID19 situation. pic.twitter.com/EsSD5zxETV
ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા
ભારતમાં હાલમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જે ચોથી લહેરનો સંકેત છે. છેલ્લા એક સપ્તાહથી દરરોજ નવા કેસની સંખ્યા વધી રહી છે. વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના નવા પ્રકારોના ઉદભવની આશંકા વ્યક્ત કરી છે, જે વધુ ચિંતાનો વિષય છે કારણ કે આ પ્રકાર ઝડપથી એક વ્યક્તિને બીજામાં ચેપ લગાડે છે.
દેશમાં બે અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો
દેશમાં 11 અઠવાડિયાના સતત ઘટાડા બાદ કોરોનાના કેસમાં છેલ્લાં બે અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી સતત 2500 થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. તારીખ 18 થી 24 એપ્રિલની વચ્ચે 15700 થી પણ વધારે કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. ગયા સપ્તાહથી તેમાં 95 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસોમાં હવે 12થી વધુ રાજ્યોમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ગયા સપ્તાહ સુધી માત્ર 3 રાજ્યોમાં હતો. ત્યાર બાદ અનેક રાજ્યોએ ફરીથી નવા નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. સ્થિતિની ગંભીરતાને જોતા બુધવારે પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરવાના છે.
દિલ્હી: દિલ્હીમાં સોમવારે સતત ચોથા દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા છે. સંક્રમણ દર પણ 6.42 ટકાએ પહોંચી ગયો છે. વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ થશે. 18 થી 59 વર્ષના લોકો માટે ફ્રી બુસ્ટર ડોઝની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશઃ યુપીમાં પણ કોરોનાની ઝડપે ચિંતા વધારી છે. સૌથી વધુ કેસ દિલ્હીને અડીને આવેલા ગૌતમબુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં આવી રહ્યાં છે. રાજધાનીની બાજુમાં આવેલા NCRના વિસ્તારોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. યુપી સરકારે 1 એપ્રિલના રોજ માસ્ક પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો, પરંતુ હવેથી તેને ફરીથી જરૂરી બનાવી દેવામાં આવ્યો છે.
હરિયાણા: દિલ્હીના પડોશી હરિયાણામાં, કોરોના સંક્રમણ દર વધીને 5.14 ટકા થઈ ગયો છે, જે 1 એપ્રિલના રોજ 0.40 ટકા હતો. સતત વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી NCRમાં રાજ્યના ચાર જિલ્લા - ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં માસ્ક જરૂરી બનાવવામાં આવ્યા છે.
કર્ણાટક: રાજ્યમાં કોવિડ-19 સંબંધિત નિયંત્રણો 28 ફેબ્રુઆરીથી દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે માસ્ક લગાવવું અને સામાજિક અંતરનું પાલન કરવું તેને ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ થૂંકવું એ પણ સજાપાત્ર ગુનો હશે. અહીં સંક્રમણનો દર 1.9 ટકાને વટાવી ગયો છે.
તેલંગાણા: આ મહિનાની શરૂઆતમાં અહીંયા માસ્ક પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, જે હવે ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. તેલંગાણામાં માસ્ક વગર જોવા પર 1000 રૂપિયાના દંડનો નિયમ લાગુ કરાયો છે.
તમિલનાડુ: જાહેર સ્થળોએ માસ્ક વગર જોવા મળતા લોકોને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આંધ્રપ્રદેશ: અહીં પણ સરકારે ફરીથી માસ્ક પહેરવાના નિયમને ફરજિયાત બનાવી દીધો છે. નિયમનો ભંગ કરનારને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
છત્તીસગઢ: સરકારે એક વાર ફરી જાહેર સ્થળોએ ફેસ માસ્ક ફરજિયાત બનાવી દીધું છે. જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.