ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે PM મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 09-10 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી દેલવાડા, મોઢેરા, બહુચરાજી, મહેસાણા અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી બહુચરાજીના દેલવાડામાં 9મી ઓક્ટોબરે એક જાહેર સભાને સંબોધશે. પીએમ મોદીના આગામનને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
9 ઓક્ટોબરે PM મોદીનો ગુજરાત પ્રવાસ: મોઢેરામાં મોઢેશ્વરી માતાજીના કરશે દર્શન, મહેસાણામાં ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ તથા બહુચરાજીમાં જનસભા સંબોધવાનું પણ આયોજન#PMMODI#Gujarat#Modhera#Mehsana#Bahuchraji
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 4, 2022
મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમને લઈને 32 કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. 9 ઓક્ટોમ્બરે પીએમ મોદી બહુચરાજીના દેલવાડામાં જાહેરસભા સંબોધશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને 4 હેલિપેડ બનાવવામાં આવશે. આ જાહેર સભા બાદ વડાપ્રધાન મોદી મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા જશે.
પીએમ મોદીના હસ્તે દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું કરાશે લોકાર્પણ
9 ઓક્ટોમ્બરે પીએમ મોદીના હસ્તે મહેસાણાના દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. દૂધ સાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પીએણ મોદી બહુચરાજી જવા રવાના થશે. બહુચરાજી સ્થિત બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન પ્લાનનું લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.
વિદ્યાનગરમાં શાસ્ત્રી મેદાનમાં PMની જંગી જાહેર સભા
10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના મહેમાન બનશે. પીએમ મોદી 10 ઓક્ટોબરે આણંદની મુલાકાતે જશે. જ્યાં આણંદના વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદી એક જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ સંગઠને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલમાં PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભાના આયોજન માટે જગ્યા શોધવા પણ તંત્ર કામે લાગી ગયું છે.
29-30 સપ્ટેમ્બરે આવ્યા હતા ગુજરાતની મુલાકાતે
મહત્વનું છે કે, ગત 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદીએ સુરતને રૂ. 3400 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી હતી. PM મોદીએ ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. સાથે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો હતો. 30 સપ્ટેમ્બરના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. સાથે અમદાવાદીઓને નવરાત્રીમાં PM મોદીએ મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી મા અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. 30 તારીખે PM મોદીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું.