દિલ્હીમાં નિર્માણ થઈ રહેલા નવા સંસદ ભવનનું આજે પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે સંસદ ભવનની છત પર બેનલા વિશાળ કદના અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.
નવા સંસદ ભવનનું કામ પુરજોશમાં થઈ રહ્યું છે
પીએમ મોદીએ વિશાળકદના અશોક સ્તંભનું અનાવરણ કર્યું
ઓમ બિરલા પણ સાથે રહ્યા હતા
નવા સંસદ ભવનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ આજે નવા સંસદના નિર્માણકામનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે નવા સંસદ ભવનની છત પર લાગેલા 20 ફુટ ઉચા અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી શિયાળુ સત્ર નવા સંસદ ભવનમાં કરાવાનો લક્ષ્ય રાખ્યો છે.
આ બાજૂ પ્રધાનમંત્રી મોદીએ આજે નવા સંસદ ભવનના નિર્માણ કામનું નિરીક્ષણ દરમિયાન કામમાં લાગેલા શ્રમિકો સાથે વાતચીત પણ કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. કહેવાય છે કે, જે અશોક સ્તંભ ચિન્હનું પીએમ મોદીએ અનાવરણ કર્યું હતું, તેનો વજન લગભગ 9500 કિલોગ્રામ છે, જે કાંસામાંથી બનેલો છે. તેના સપોર્ટ માટે લગભગ 6500 કિલોગ્રામ વજનવાળી સ્ટીલની એક સહાયક સંરચના પણ બનાવામાં આવી છે.
કહેવાય છે કે, નવા સંસદ ભવનની છત પર લાગેલા અશોક સ્તંભ ચિન્હને આઠ તબક્કાની પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, નવા સંસદ ભવનના નિર્માણ પર 200 કરોડનો વધારાનો ખર્ચ થઈ શકે છે. કહેવાય છે કે, આ ખર્ચ સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય કામોમાં લાગશે. આ વધેલા ખર્ચ માટે સીપીડબ્લ્યૂડીને લોકસભા સચિવાલયની મંજૂરી મળવાની આશા છે.
કહેવાય છે કે, જાન્યુઆરીમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેંટે નવા સંસદ ભવનના નિર્માણના ખર્ચમાં થનારા વધારા માટે લોકસભા સચિવાલયની મંજૂરી માગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વધારા બાદ સંસદ ભવનનું બજેટ 1200 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે.