વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમનું આયોજન ગાંધી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દરેક કોલેજ અને વિશ્વવિદ્યાલયને 15 દિવસનો ફિટનેસ પ્લાન તૈયાર કરવો પડશે.
આ કાર્યક્રમ અંગેની જાણકારી કોલેજ અથવા વિશ્વવિદ્યાલયે પોતાના પોર્ટલ અને વેબસાઇટ પર અપલોડ પણ કરવાના રહેશે. પીએમ મોદીનું ફિટ ઇન્ડિયા અભિયાન દેશવાસીઓ માટે છે, જેનાથી તેઓ સ્વસ્થ અને ફિટ રહી શકે.
ફિટ ઇન્ડિયા અભિયાન કાર્યક્રમમાં ઉદ્યોગ જગત, ફિલ્મી જગત, ખેલ જગત સહિત અન્ય તમામ દિગ્ગજો સામેલ થશે. આજે હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદજીનો જન્મદિવસ પણ છે. આ દિવસને ખેલ દિવસ તરીકે પણ ઉજવાય છે. જેને લઇને આ અભિયાનની શરૂઆત આજના દિવસે કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય રમત ગમતના મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે આ અભિયાન દરેક ભારતવાસી માટે છે જેથી તેઓ સ્વસ્થ અને ફિટ રહે. ઉલ્લેખનીય છે કે બેડમિન્ટ સ્ટાર પીવી સિંધુ અને બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ અભિયાન હેઠળ વીડિયો મેસેજ સોશિયલ મીડિયા દ્વારા આપી ચૂકી છે.
રમતગમતના મંત્રીએ જણાવ્યું કે આ અભિયાનનો હેતુ એટલો છે કે શહેરની ભાગદોડ ભરી જિંદગીમાં માણસો ફીટ રહે. હાલમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પર સરકારે એક સમિતિનું ગઠન કર્યું હતું. કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજીજુ આ સમિતના અધ્યક્ષ છે.