છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે.ત્યારે PM મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક કરશે.
કોરોનાના કેસમાં ઉછાળો આવતા એક્શન મોડમાં PM નરેન્દ્ર મોદી
તમામ રાજ્યોના CM સાથે આજે કરશે વાત
રાજ્યોમાં વેક્શિનેશનની કામગીરી તથા કોરોનાની સ્થિતિને લઇ કરશે સમીક્ષા
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ -19 ના સતત વધી રહેલા કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અંગે સમીક્ષા કરવા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી આજે બેઠક કરશે. રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથેની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે.
આજે દેશભરમાં નોંધાયા છે 1.28 લાખ નવા કેસ
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોના વાયરસના કેસો સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક લાખ 28 હજાર પર પહોંચી છે. તો સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.
મહારાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 60 હજારથી માત્ર 3 કેસ જ ઓછા નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 59907 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 31,73,261 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે લગભગ 60 હજાર નવા કેસો સાથે રાજ્યમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 5,01,559 પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઇએ કે મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 55,469 કેસ નોંધાયા છે અને 297 લોકોનાં મોત નીપજ્યાં હતા.
મુંબઇમાં 10442 નવા કેસ
રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 26,13,627 લોકો સાજા થયા છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 56,652 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પૈકી આજે 322 નવા મોત થયા છે. આ તરફ, ફક્ત મુંબઈની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 10442 નવા કેસ શહેરમાં આવ્યા છે જ્યારે 24 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. 10,000 થી વધુ નવા કેસો સાથે, મુંબઇના કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 4,83,042 પર પહોંચી ગઈ છે.
4 એપ્રિલે પણ બેઠક મળી હતી
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. 4 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ -19 ના વધતા જતા કેસો અને રસીકરણ અભિયાન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં વડા પ્રધાને પરીક્ષણ, ટ્રેસિંગ, સારવાર, કોવિડની યોગ્ય સારવાર અને રસીકરણ પર ભાર મૂક્યો હતો. કોરોના વિશે જાગરૂકતા અને જાગૃતિ લાવવા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે, આરોગ્ય સંબંધિત માળખાગત સુવિધામાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવશે.