દેશમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે 27 એપ્રિલે પીએમ મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મોટી બેઠક કરશે.
દેશમાં કોરોના કેસ વધતા પીએમ મોદી ચિંતિત
27 એપ્રિલે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
કોરોનાને નાથવાના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
દેશમાં કોરોના કેસ વધતા ચિંતા વધે તે સ્વાભાવિક છે. હાલમાં ધીરી ગતિએ કોરોના કેસ વધી રહ્યાં છે.આવી સ્થિતિમાં તાબડતોબ કંઈક કરવાની જરુર છે. હવે પ્રધાનમંત્રી મોદી પણ એક્શનમાં આવ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન આપશે
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે કોરોનાની સ્થિતિની ચર્ચા કરવા માટે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક મોટી બેઠક બોલાવી છે. 27 એપ્રિલે વર્ચ્યુઅલ રીતે થનારી બેઠકમાં પીએમ મોદી મુખ્યમંત્રીઓ પાસેથી તેમના રાજ્યની સીધી જાણકારી મેળવશે અને તે પ્રમાણે કોઈ નિર્ણય થશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ પણ આ મામલે રજૂઆત કરશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 2,527 નવા કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં કોરોના કેસ ફરી વાર 1000ને પાર
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1 હજારથી વધારે કેસ સામે આવ્યાં છે. શનિવારે કોરોનાના 1094 કેસ નોંધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે.
આઈઆઈટી-મદ્રાસમાં વધુ 25 વિદ્યાર્થીઓ સંક્રમિત
તમિલનાડુના સ્વાસ્થ્ય સચિવ જે રાધાકૃષ્ણને શનિવારે કહ્યું કે આઈઆઈટી-મદ્રાસમાં વધુ 25 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આમ સંક્રમિત કેસોની કુલ સંખ્યા 30થી વધીને 55 થઈ ગઈ છે. શૈક્ષણિક સંસ્થાને હાલ પૂરતી કોવિડ-19 ક્લસ્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. "આજ સુધીમાં, અમે 1420 લોકોનો ટેસ્ટ કર્યો છે, જેમાંથી 55 લોકોને કોરોના થવાની પુષ્ટિ થઈ છે. બધા દર્દીઓમાં હળવા લક્ષણો હોય છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તમિલનાડુમાં હજી સુધી કોઈ 'એક્સઈ' વેરિઅન્ટ મળ્યો નથી.
રાજ્યો પાસે કોરોના રસીના 19.91 કરોડ ડોઝ ઉપલબ્ધ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોરોના રસીના 19.91 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે. મંત્રાલયે શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 19.19 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ભારત સરકાર દ્વારા મફત કેટેગરીમાં અને રાજ્યની ખરીદીથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -19 રસીકરણની ગતિને ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.