ભારતમાં સતત વધી રહેલા કેસની વચ્ચે ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ જાણવા પીએમ મોદીએ સીએમ યોગીને ફોન લગાવ્યો હતો.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં વિસ્ફોટ
ઉત્તર પ્રદેશમાં કાળ બન્યો કોરોના
પીએમ મોદીએ સીએમ યોગીને ફોન કરી જાણી પરિસ્થિતિ
વડાપ્રધાન મોદી એક્શનમાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોરોના વાયરસને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની જાણકારી લીધી. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા અનુસાર સીએમ યોગીએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે રાજ્યની સરકાર કોરોના વાયરસની નિયંત્રિત કરવા માટે કટિબદ્ધ છે અને કામ કરી રહી છે. કોરોના વાયરસ સામે લડવા માટે આઇસીયુ બેડ તથા ઑક્સીજન માટે વ્યાપક રણનીતિ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
કોરોના ટેસ્ટ અંગે માંગવામાં આવી માહિતી
પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાતચીતમાં રાજ્યમાં કરવામાં આવી રહેલા કોરોના વાયરસના ટેસ્ટ વિશે જાણકારી માંગી હતી. જેમાં સીએમ યોગી દ્વારા જાણકારી આપવામાં આવી કે રાજ્યના જુદા જુદા જિલ્લા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે પોતપોતાના જિલ્લાઓમાં કોરોના ટેસ્ટ વધારવામાં આવે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે કે પ્રાઇવેટ પ્રયોગશાળામાં કોરોના ટેસ્ટ કરવામાં નથી આવતા, જોકે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. આ સાથે જ અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.
ભારતમાં બીજી લહેર બની કહેર
ભારતમાં માર્ચ મહિનાથી સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ દિવસને દિવસે ખૂબ જ કથળી રહી છે અને જુદા જુદા રાજ્યોમાં હોસ્પિટલો અને સ્મશાનોમાં જગ્યા નથી. એવામાં દરરોજ કોરોના વાયરસની કેસની સંખ્યામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં 20મી એપ્રિલ, 2021ના આંકડા અનુસાર 2,59,170 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1,761 મોત થઈ છે. આ સિવાય એક દિવસમાં 1,54,761 લોકો સાજા થયા છે.